Ahmedabad

વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને સરકારે નોટિસ ફટકારી, યુઝરનેમ ફીચર ચિંતાનો વિષય

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને નોટિસ ફટકારી છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે બંને પ્લેટફોર્મના યુઝરનેમ ફીચર પર સવાલ ઉઠાવ્યા છે. ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓ રોકવા માટે સુરક્ષા ઉપાયો પૂછવામાં આવ્યા છે. વોટ્સએપના ફીચર પર સરકારે રોક લગાવવાનો આદેશ આપ્યો છે. NEET પેપર લીક બાદ ટેલિગ્રામ ફરી સરકારની કડક નજરે ચડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને સરકારે નોટિસ ફટકારી, યુઝરનેમ ફીચર ચિંતાનો વિષય
AI તસવીર

Indian Government Notice to Telegram and Signal Username Feature: ભારત સરકારે વોટ્સએપને નોટિસ મોકલ્યાના એક દિવસ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ ફટકારી છે. આ નોટિસોમાં બંને પ્લેટફોર્મના વર્તમાન યુઝરનેમ ફીચર પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. નોટિસ દ્વારા સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું છે કે તેઓ ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ અને સંબંધિત સાયબર ગુનાઓ સાથે જોડાયેલી વધતી ચિંતાઓને કેવી રીતે દૂર કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ટેલિગ્રામને મોકલવામાં આવેલી નોટિસમાં માહિતી ટેકનોલોજી મંત્રાલયે સીધો સવાલ કર્યો છે કે પ્લેટફોર્મને યુઝરનેમ ફીચર ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવી જોઈએ. હવે ટેલિગ્રામ અને સિગ્નલે આ નોટિસનો જવાબ આપવાનો છે.

વોટ્સએપના યુઝરનેમ ફીચર પર સરકારે રોક લગાવવાનો આદેશ આપ્યો

અહીં તમને જણાવી દઈએ કે બુધવારે કેન્દ્ર સરકારે મેટાને વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચરને લઈને નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જો આ ફીચર ભારતમાં લાગુ થશે તો ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ એટેક, ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓમાં વધારો થઈ શકે છે. સરકારે વોટ્સએપને કડક નિર્દેશ આપ્યો હતો કે સરકારની સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી આ ફીચરને રોકી દેવામાં આવે.

મંત્રાલયે છેતરપિંડી રોકવા માટે બંને પ્લેટફોર્મ્સ પાસે સુરક્ષા ઉપાયો માંગ્યા

રિપોર્ટ મુજબ, હવે સરકારે તેની તપાસ અને કાર્યવાહીનો વ્યાપ મોટા પાયે વધારી દીધો છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ અને સિગ્નલ બંનેને અલગ-અલગ પત્રો લખ્યા છે, જેમાં આ પ્લેટફોર્મ્સ પાસેથી વિગતવાર માહિતી માંગવામાં આવી છે કે તેઓ છેતરપિંડી સંબંધિત જોખમોને નિયંત્રિત કરવા માટે કયા-કયા સુરક્ષા પગલાં અપનાવી રહ્યા છે.

વોટ્સએપે ભારતના મોટા બજારમાં તેના યુઝરનેમ ફીચરનો બચાવ કર્યો

વોટ્સએપે બુધવારે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં આ ફીચરનો બચાવ કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે યુઝરનેમ ફીચરમાં છેતરપિંડી અને દુરુપયોગ રોકવા માટે મજબૂત સુરક્ષા ઉપાયો પહેલાથી કરવામાં આવ્યા છે. આ ફીચર યુઝર્સની પ્રાઈવસી (ગોપનીયતા) અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. ભારત વોટ્સએપનું સૌથી મોટું બજાર છે. અહીં તેના 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે, જે ટેલિગ્રામના ભારતીય યુઝર બેઝ કરતાં ઘણો વધારે છે.

NEET પેપર લીક બાદ ટેલિગ્રામ ફરી સરકારની કડક નજરે ચડ્યું

નોંધનીય છે કે ગયા મહિને જ NEET પરીક્ષા પેપર લીક, નકલી પરીક્ષા સામગ્રી, ભ્રામક સમાચારો અને અન્ય છેતરપિંડીની પ્રવૃત્તિઓના પ્રસારને લઈને ટેલિગ્રામ ભારત સરકારની કડક દેખરેખ હેઠળ આવ્યું હતું. આ પછી સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ અને તેની વેબ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, એક અઠવાડિયા પછી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો અને પ્લેટફોર્મ ભારતમાં ફરી સક્રિય થઈ ગયું.