અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે રૂટ પર યોજાઈ ફ્લેગ માર્ચ, 500થી વધુ જવાનો જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra: ભગવાન જગન્નાથજીની આગામી 149મી રથયાત્રા શાંતિ અને સલામતી સાથે પૂર્ણ થાય તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના ભાગરૂપે રવિવારે (પાંચમી જુલાઈ) મધ્યરાત્રિએ પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર એક ભવ્ય ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. સુરક્ષાની આ કવાયતમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસ જવાનોએ ભાગ લઈને ચુસ્ત બંદોબસ્તની સમીક્ષા કરી હતી.
પોલીસ કમિશનરના નેતૃત્વમાં નિરીક્ષણ, મોડી રાત્રે ફ્લેગ માર્ચ શરૂ
આ રાત્રિ ફ્લેગ માર્ચ પહેલાં, રવિવારે સાંજના સમયે નવા નિયુક્ત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નેતૃત્વ હેઠળ જમાલપુરથી રથયાત્રાના રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના 11 કલાકથી સેક્ટર-1ના જેસીપી નીરજ બડગુજર અને ડીસીપી રૂપાલ સોલંકીની આગેવાનીમાં ફ્લેગ માર્ચની શરૂઆત થઈ હતી. આ માર્ચમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, શાહપુર અને દરિયાપુર સહિતના વિવિધ પોલીસ મથકોના પીઆઇ અને પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં ખડેપગે જોડાયા હતા.
પોલીસની આ સઘન ફ્લેગ માર્ચ જમાલપુર દરવાજાથી પ્રસ્થાન પામીને કાલુપુર, દરિયાપુર, શાહપુર, રાયખડ, આસ્ટોડિયા, સરસપુર અને ખાડિયા વિસ્તારોમાંથી પસાર થઈ અંતે પરત નિજ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ રૂટ માર્ચ દરમિયાન ખાસ કરીને રથયાત્રાના માર્ગ પર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.









