ધોળકામાં 'જય રણછોડ'ના નાદ સાથે 2 ભવ્ય રથયાત્રા નીકળી: ભીડ વચ્ચે મહિલા બેભાન, લોકોએ દાખવી અનોખી માનવતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Rath Yatra: અષાઢી બીજના પવિત્ર પર્વે ધોળકામાં કાળિયા ઠાકરની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેને પગલે સમગ્ર પંથક ‘જય રણછોડ, માખણચોર’ના નારાઓ સાથે ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયો છે. ધોળકામાં આજે એકસાથે 2 ભવ્ય રથયાત્રાઓનું પ્રસ્થાન થયું હતું, જેમાં ભક્તો ભારે ઉત્સાહથી જોડાયા હતા.

એક સાથે 2 ભવ્ય રથયાત્રાઓનું પ્રસ્થાન
પ્રથમ રથયાત્રા ધોળકા શહેરના ચારશેરી સ્થિત કૃષ્ણ મંદિરથી પરંપરાગત રીતે નીકળી હતી. આ વર્ષે આ રથયાત્રાનું 75મું વર્ષ હોવાથી ભક્તોમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો. બીજી રથયાત્રા કેલિયા વાસણા ગામે આવેલા ઐતિહાસિક રણછોડરાયના મંદિરથી પ્રસ્થાન પામી હતી. આ આયોજનનું આ 5મું વર્ષ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના 3 ભવ્ય રથો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બંને રથયાત્રાઓના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા ચા, નાસ્તો, ઠંડું પાણી અને શરબત જેવી સેવાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભારે ભીડ વચ્ચે જોવા મળી અનોખી માનવતા
રથયાત્રા દરમિયાન ધોળકાના સરોડા રોડ પર એક સંવેદનશીલ ઘટના બની હતી. દર્શન માટે ઉમટેલી ભારે જનમેદની વચ્ચે એક મહિલા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જો કે, આ કટોકટીની પળોમાં ધોળકાવાસીઓએ અદ્ભુત માનવતા દાખવી હતી. હજારોની ભીડ હોવા છતાં, સ્થાનિક લોકોએ તાત્કાલિક એક થઈને એમ્બ્યુલન્સ માટે ગણતરીની મિનિટોમાં જ ગ્રીન કોરિડોર જેવો સરળ રસ્તો કરી આપ્યો હતો. લોકોના આ અભૂતપૂર્વ સહયોગને કારણે દર્દીને સમયસર હૉસ્પિટલ પહોંચાડી શકાયા હતા. હાલ હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલી આ મહિલાની તબિયતમાં ઘણો સુધારો છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા
સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણ સજ્જ હતું. રૂટ પર DYSP, PI અને PSI સહિત 564 પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસની કડક સુરક્ષા વચ્ચે ભક્તોએ ખૂબ જ ઉત્સાહ અને શાંતિથી ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો.










