થરાદમાં પતિની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ પત્ની જ નીકળી! સગી દીકરીઓએ કળિયુગી માતાનો ભાંડો ફોડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tharad Crime News: થરાદના ગણેશપુરા ગામે થયેલી એક વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિની હત્યા પાછળ બીજું કોઈ નહીં, પરંતુ ખુદ તેની પત્ની જ માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. પત્નીએ જ પોતાના પ્રેમી અને અન્ય એક સાગરીત સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવા મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, આ સમગ્ર પાપના ખેલનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સગી દીકરીઓએ જ પોલીસ સમક્ષ પોતાની કળિયુગી માતાનો ભાંડો ફોડી નાખ્યો!
પ્રેમ પ્રકરણમાં પતિ બનતો હતો આડખીલી
ઘટનાની વિગત મુજબ, ગણેશપુરા ગામના રહેવાસી મૃતક ગમાભાઈની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેનને પ્રેમજીભાઈ ચૌધરી નામના શખ્સ સાથે આડા સંબંધો હતા. આ પ્રેમ પ્રકરણની જાણ પતિને થતાં તે બંને વચ્ચે આડખીલી બનતો હતો. આથી પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્ની નર્મદાબેન, પ્રેમી પ્રેમજી અને મુકેશ ઠાકોર નામના અન્ય એક શખ્સે ભેગા મળીને કાવતરૂ રચી ગમાભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ મામલે ફરિયાદી સુરેશભાઈ ઠાકોરની ફરિયાદના આધારે થરાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સગી દીકરીઓની જુબાનીથી ફૂટ્યો પાપનો ઘડો, 3 આરોપી જેલભેગા
હત્યા બાદ મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મૃતકની સગી દીકરીઓએ પોલીસ સમક્ષ પોતાની માતાના કરતૂતોની જુબાની આપતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાયો હતો. દીકરીઓની જુબાનીના આધારે થરાદ પોલીસે એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ તમામ નરાધમોને દબોચી લીધા હતા.
પોલીસે મુખ્ય આરોપી પત્ની નર્મદાબેન, પ્રેમી પ્રેમજી ચૌધરી અને મદદગાર મુકેશ ઠાકોર સહિત ત્રણેય આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સગી દીકરીઓએ જ માતાના પાપનો ઘડો ફોડતા આખા પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.









