Gujarat

ગોડ્સે પર વક્તૃત્વમાં પ્રથમ નંબર મેળવનારી વિદ્યાર્થિની મુસ્લિમ!

By GS Team
17 Feb 20222 mins read
This article was originally published on 17 Feb 2022
ગોડ્સે પર વક્તૃત્વમાં પ્રથમ નંબર મેળવનારી વિદ્યાર્થિની મુસ્લિમ!

- ધો.7ની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થિની પાસે ગાંધી અને ગોડ્સે વિશે આવી માહિતી કેવી રીતે આવી ? એ તપાસનો વિષય

વલસાડ : ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેને આદર્શ ગણાવી વક્તૃત્વ સ્પર્ધામાં આ વિષયને પ્રથમ ઈનામ આપવાના પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે. જેમાં આ વિષય ઉપર પ્રથમ ઈનામ મેળવનારી કુુસુમ વિદ્યાલયની ધો.૭ની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થિની મુસ્લિમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વક્તૃત્વ સ્પર્ધામાં ૩ વિષયો પૈકી મારો આદર્શ નથુરામ ગોડ્સે વિષય ઉપર ગાંધીજીને વિલન અને ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેને હીરો ચિતરવા માટે તેજાબી સ્પીચ આપી પ્રથમ ઈનામ મેળવનાર અન્ય કોઈ નહીં પણ જ્યાં આ સ્પર્ધા યોજાઈ હતી. અને સમગ્ર જીવન ગાંધીજીના આદર્શો ઉપર ચાલનારા તથા વડાપ્રધાન બન્યા પછી પણ સત્તા માટે કોઈપણ સાથે જરાપણ સંધી ન કરનારા સ્વ.મોરારજી દેસાઈ પરિવારની શાળા કુસુમ વિદ્યાલયની ધો.૭-બમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી મુસ્લિમ વિદ્યાર્થિની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

ખૂબજ આશ્ચર્યની વાત છે કે એક અંગ્રેજી માધ્યમની માત્ર ધો.૭માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની મુસ્લિમ બાળકી આ ખૂબજ અઘરા વિષય ઉપર તે પણ ખૂબજ તેજાબી વક્તૃત્વ કેવી રીતે આપી શકે તે એક તપાસનો વિષય છે. એક દિવસ પહેલા આપેલ વિષયમાં શાળાના શિક્ષકોમાંથી કોઈએ કે વિદ્યાર્થિનીના વાલીએ આ સ્પીચ તૈયાર કરી તે પણ એક તપાસનો વિષય છે. એક મુસ્લિમ વિદ્યાર્થિની પાસે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને આદર્શ બતાવી હીરો હોવાનું બોલાવવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર હોવાની ગંધ આવી રહી છે. મુસ્લિમ વિદ્યાર્થિની બોલવામાં હોશિયાર છે. પરંતુ આ રીતની સ્પીચ આપી શકે અને આટલી બધી ગાંધીજી નથુરામ ગોડ્સે માટે બોલી શકે તેવી કેલીબર તો નથી જ એમ આ વિદ્યાર્થિનીને જાણનારાઓ કહી રહ્યા હોવાની ચર્ચાઓ છે.

કોંગ્રેસના ગૌરવ પંડયાએ કહ્યું, આખી ગુજરાત સરકારને બરખાસ્ત કરો!

કોંગ્રેસ એઆઈસીસીના સભ્ય ગૌરવ પંડયાએ વિશ્વભરમાં ભારતની ઈમેજ બગડી હોવાનું તેમજ બાળકોને હિંસક બનાવવા અને ખુનીઓને ઉપર લાવાની ચેષ્ટાને સખત શબ્દોમાં વખોડી વડાપ્રધાનને ગુજરાત સરકારનું તાત્કાલિક રાજીનામુ લેવા ટકોર કરી છે. જ્યારે કેન્દ્રમાં ગુજરાતના વડાપ્રધાન બેઠા છે. ત્યારે તેમની જવાબદારી છે કે સરકારને બરખાસ્ત કરી એક દાખલો બેસાડે. તાત્કાલિક અસરથી પગલાં લેવામાં ન આવે તો ખૂબજ ખરાબ સમય આવશે. આ માટે કોંગ્રેસ ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન છેડવું પડશે તેવી રાજ્ય સરકારને ચેતવણી આપી હતી.