Valsad

વાપીની કિશોરીને કુંવારી માતા બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
વાપી કોર્ટે 12 વર્ષીય કિશોરીને કુંવારી માતા બનાવનાર આરોપી મુન્નાકુમાર શ્રીવાસ્તવને 20 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીએનએ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પુરાવાને આધારે ચુકાદો અપાયો. પીડિતા અને તેના પુત્રને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીની કિશોરીને કુંવારી માતા બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા

Vapi Court : વાપીના ભડકમોરા વિસ્તારની 12 વર્ષીય કિશોરીને કુંવારી માતા બનાવવાના કેસમાં ચક્યારી કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આપેલા મહત્વના ચૂકાદામાં નરાધમ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે કોર્ટે પિડીતા અને પુત્રને કુલ રૂ.10 લાખ ગુજરાત વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં ડીએનએ રિપોર્ટ નેગેટીવ આવવા છતાં સજ્જડ પુરાવાના આધારે આરોપીને દોષી ઠેરવાયો છે.
કેસની વિગત એવી છે કે, વાપીના ભડકમોરા વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે. વર્ષ 2024માં 12 વર્ષીય કામીની (નામ બદલ્યું છે.) પાડોશમાં રહેતા મુન્નાકુમાર સુરેશલાલ શ્રીવાસ્તવના ઘરે ગઈ હતી. તે દરમિયાન કામવાસનામાં ચકચુર મુન્નાકુમારે બળજબરી પૂર્વક કામીની સાથે શારીરિક અત્યાચાર કર્યો હતો. જો કે સુરેશે હવસ સંતોષ્યા બાદ કામીનીને જો આ વાત કોઈને કહેશે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા કામીની ગભરાઈ ગઈ હતી. જો કે કામીનીને એપ્રિલ-2024થી માસિક ધર્મ આવતો બંધ થઈ ગયો હતો. પરંતુ નાનીવયની હોવાને કારણે પરિવારે તેને સામાન્ય ગણીને તબીબી તપાસ કરાવી ન હતી.
ગત તા.9-12-2024ના રોજ કામીનીને અસહ્ય દુખાવો ઉપડતા પરિવારજનો કામીનીને ચણોદ સ્થિત ખાનગી ક્લિનિકમાં લઈ ગયા બાદ ચલા સીએચસીમાં લઈ જતાં કામીને 8 માસનો ગર્ભ હોવાનું નિદાન કરાતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. પરિવારજનોએ કામીનીની પૂછપરછ કરતા આખી બીના જણાવતા પરિવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે કામીનીએ બાળકનો જન્મ આપ્યો હતો. પોલીસે હવસખોર સુરેશલાલની પરપકડ કર્યા બાદ ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
આ કેસ સંદર્ભે વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ પિડીતા સહિતના લોકોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ રજુ કર્યા હતા. જો કે ડીએનએ રિપોર્ટ નેગેટીવ આવવા છતાં ભોગ બનનારના સચોટ પુરાવાના આધારે કરેલી ધારદાર દલીલો બાદ જજ ડો.એચ.એમ.વડીલે આરોપી સુરેશલાલ શ્રીવાસ્તવને કસુરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે પિડીતા અને તેના પુત્રને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ કુલ રૂ.10 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે.