વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Crime News : વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના ઉકતા ગામે આવેલા ડુંગર પર જંગલી વૃક્ષ સાથે બનેવી અને સાળીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બન્ને ગત શનિવારે ઘરેથી ગાયબ થઇ ગયા હતા. ઘટનાસ્થળેથી 500 મીટરના અંતરે મૃતક યુવાનની કાર મળી આવી હતી. એક સાથે બન્નેએ કેમ આપઘાત કર્યો તે કારણ બહાર આવ્યું નથી પણ બનેવી સાથેના પ્રેમ પ્રકરણ વચ્ચે યુવતીની અન્ય કોઈ સાથે સગાઇ થઇ જતા અંતિમ પગલું ભર્યાનું અનુમાન લગાવાયું છે.
પ્રાપ્ત અને પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ધરમપુર તાલુકાના બામટી ગામે જલારામ ફળિયામાં રહેતા બાલુભાઇ પટેલની પુત્રી હિરલ (ઉ.વ.22) અને ખારવેલ ગામે મંદિર ફળિયામાં રહેતા મોટા જમાઇ જયદીપ ભગવાનભાઇ પટેલ (ઉ.વ.27) ગત તા.15 ઓગસ્ટ 2026ના રોજ પોત પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગાયબ થઇ ગયા હતા. બન્નેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. અનેક સ્થળોએ શોધખોળ કરવા છતા કોઇ ભાળ મળી ન હતી.
ગઇકાલે રવિવારે રાત્રે ઉકતા ગામે આવેલા ડુંગર પર જંગલ વિસ્તારમાં જંગલી વૃક્ષ સાથે બે યુવક-યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ લોકો દોડી ગયા હતા. એટલું જ નહી પણ ઘટનાસ્થળેથી 500 મીટર દૂર અલ્ટો કાર (નં.જીજે-15-ડીડી-9806) મળી આવી હતી. ઉકતાના ડુંગર પર વૃક્ષ સાથે યુવક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવા અંગે જાણ થતા ગુમ થનાર સાળી અને બનેવીના પરિવારજનો પહોંચી ગયા બાદ બન્નેની ઓળખ કરી હતી. ધરમપુર પોલીસ પણ પહોંચી ગયા બાદ બન્ને લાશનો કબજો લઇ ઘરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મોકલી દીધી હતી.
એક સાથે એક જ વૃક્ષ પર સાળી અને બનેવીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. જો કે સાળી અને બનેવીએ કેમ આત્મહત્યા કરી તે અંગે કારણ બહાર આવ્યું ન હતું પણ હિરલ અને બનેવી જયદીપ વચ્ચે પ્રેમસબંધ વચ્ચે હિરલની અન્ય યુવાન સાથે સગાઇ નક્કી કરાતા અંતિમ પગલું ભર્યુ હોવાની ચર્ચા ઉઠી છે. જો કે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ કારણ બહાર આવી શકશે.









