ખાટડી-ડાકવડલાની સીમના ખેતરમાંથી રૂ. 73.23 લાખનું લીલુ અફીણ ઝડપાયું

- ચોટીલામાં અફીણના વાવેતર પર પોલીસના દરોડાથી દોડધામ
- અફીણનું ગેરકાયેદે વાવેતર કરનારા છ શખ્સોને એસઓજીની ટીમે ઝડપી લીધા ડાકવડલા ગામનો શખ્સ નાસી ગયોઃ સાત શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ખાટડી - ડાકવડલા ગામની સીમના ખેતરોમાં અફીણનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યુ હોવાની જાણકારીના પગલે એસ.ઓ.જી પોલીસે રૂા. ૭૩.૨૩ લાખની કિંમતના લીલા અફીણનો જથ્થો કબજે કરીને સાત શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો અને છ આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પછી ઝાલાવાડમાં અનાજ, ફળ, કપાસની ખેતી કરતા ખેડૂતો નશાની ગેરકાયદે ખેતી તરફ કેમ વળ્યા છે.? તેવો સવાલ ઉઠયા છે.
ખાટડી - ડાકવડલા ગામની સીમમાં એસ.ઓ.જી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડયો હતો. ત્યારે ે સાત ખેતરોમાં ગેરકાયદે અફિણનું વાવેતર થયુ હોવાની હકીકત સામે આવી હતી. એફ.એસ.એલ ની મદદથી કરાયેલી તપાસમાં લીલા અફીણના રૂા. ૭૩,૨૩,૦૦૦ ની કિંમતના ૭૭,૫૭૫ છોડ (વજન ૨૪૪૧ કિલો) કબજે કરવામાં આવ્યા હતા. આ અફીણનું ગેરકાયદે વાવેતર કરનાર સાત શખ્સો સામે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે પૈકી છ શખ્સો ખાટડીના ધુલાભાઈ ગોપાલભાઈ ચોરાણા, લઘરાભાઈ કુંવરાભાઈ પડાયા, વિનુભાઈ મસાભાઈ મેર, માધાભાઈ જેઠાભાઈ ચાવડા, મોહનભાઈ ભવાનભાઈ ભડાલીયા અને ગોબરભાઈ રૂપાભાઈ મેરને પોલીસે ઝડપી લીધા હતા. જયારે ડાકવડલા ગામનો ભરત ગોબરભાઈ સોરાણી ફરાર થઈ જતા તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એસઓજીપીઆઈ. વી.વી. ત્રિવેદી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
અફીણના છોડવાની ગણતરી ત્રણ દિવસ ચાલી
પોલીસે દરોડો પાડયો ત્યારે ખેતરમાં અફીણના છોડન વાવેતર મોટા પ્રમાણમાં થયુ હોવાનું સામે આવ્યુ હતું. તમામ છોડને કાપી પોલીસે એક સ્થળે ઢગલો કરી તેની ગણતરી શરુ કરી હતી. અફીણના છોડવાની ગણતરીની કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલી હતી. શનિવારે સાંજે શરૂ કરાયેલી કામગીરી મંગળવારે સાંજે પૂર્ણ થઈ હતી. પકડાયેલા છ શખ્સો સામે પોલીસે નાર્કોટેકસ એકટ મુજબ નાની મોલડી પોલીસ મથકમાં ગુનોે દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




