સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી લેણાની વસૂલાત પુરી કરવા કલેક્ટરની તાકિદ

- જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી
- એસ.ટી.ના રૂટ ફરી શરૂ કરવા સહિતના પ્રશ્નો ધારાસભ્યોએ રજૂ કર્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. તેમાં જિલ્લા કલેક્ટરે બાકી સરકારી લેણાની વસૂલાત ઝુંબેશ વેગવંતી કરી વસુલાત કામગારી પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
આ ઉપરાંત કલેક્ટરે કર્મચારીઓના બાકી પેન્સન કેસો, તાબાની કચેરીઓનું નિરિક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી.કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અને ઋત્વિકભાઈ મકવાણાએ ચોટીલા તાલુકાના અસરગ્રસ્ત તળાવો, ખનીજ પરિવહન ડિલીવરી ચલણ,વિચરતી-વિમુક્તિ જાતિને પ્લોટ ફાળવણી બાબત, બગોદરા/બામણબોર હાઈવે રોયલ્ટી બાબત, શહેરી વિસ્તારમાં બાંધકામ અંતર્ગત બી.યુ.પરમીશન તેમજ એસ.ટી.રૂટ ફરી શરૂ કરવા બાબતે વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. કલેક્ટરે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી.
બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોતમભાઈ સાબરીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ઝાલા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક ડી.એ.ભગલાણી અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




