| (IMAGE - IANS) |
India vs Pakistan Match: રાજકીય ગરમાગરમી અને મેદાન બહારના ડ્રામા બાદ આખરે ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ICC T20 વર્લ્ડ કપનો સૌથી મોટો મુકાબલો રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીના પ્રદર્શનને જોતા ભારતને જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
ભારતે પોતાની સફરની શરૂઆત અમેરિકા સામે જીત સાથે કરી હતી, જેમાં સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ નવી દિલ્હીમાં રમાયેલી મેચમાં ભારતે નામિબિયાને 93 રને હરાવીને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ પોતાની સૌથી મોટી જીત નોંધાવી હતી. બીજી તરફ, પાકિસ્તાને નેધરલેન્ડ અને અમેરિકા સામે જીત મેળવીને લય પકડી છે, જેના કારણે રવિવારનો મેચ રોમાંચક બનવાની પૂરી શક્યતા છે.
કોલંબોમાં ભારતનો દબદબો
આંકડાકીય રીતે જોઈએ તો કોલંબોનું મેદાન ભારત માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે. 2009થી અત્યાર સુધી અહીં રમાયેલી 15 T20 મેચોમાંથી ભારતે 11માં જીત મેળવી છે અને માત્ર 4માં હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે અહીં ભારતને માત્ર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જ હરાવી શક્યા છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતનો સરેરાશ સ્કોર 157 રન રહ્યો છે. આ મેદાન પર રવિવારે જીતવા માટે 165થી વધુનો સ્કોર સુરક્ષિત ગણી શકાય.
સ્પિનર્સ અને પેસર્સ વચ્ચેનો જંગ
મેચના પરિણામમાં બોલરોની ભૂમિકા નિર્ણાયક રહેશે. કોલંબોની પીચ પર અત્યાર સુધી ફાસ્ટ બોલરોએ 323 અને સ્પિનરોએ 282 વિકેટ ઝડપી છે. ભારત માટે જસપ્રીત બુમરાહની વાપસી એ સૌથી મોટું જમા પાસું છે, જે પાકિસ્તાની બેટર્સ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સામી બાજુ, પાકિસ્તાન પાસે ઉસ્માન તારિક જેવો મિસ્ટ્રી સ્પિનર છે જે ભારતને ચોંકાવી શકે છે. ભારત પાસે માનસિક સરસાઈ અને શાનદાર ફોર્મ બંને છે, ત્યારે જોવાનું એ રહેશે કે રવિવારે કોલંબોના મેદાનમાં કોણ બાજી મારે છે.


