શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર વાપસી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતનો કૂદકો, જાણો સમીકરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India in World Test Championship: ક્રિકેટ ચાહકો માટે ખુશખબર છે! વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ની ફાઇનલની રેસ હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામે 165 રનની શાનદાર જીત મેળવીને ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓને ફરી મજબૂત કરી છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો મેળવ્યો છે. ચાલો, સમજીએ કે આ જીતથી ભારતને કેટલો ફાયદો થયો અને હવે ફાઇનલની ટિકિટ મેળવવા માટે અંતિમ ગણિત શું છે.
ગાલે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને 372 રનનો પહાડ જેવો લક્ષ્યાંક આપ્યો. દેવદત્ત પડિકલની 167 રનની શાનદાર ઇનિંગથી ભારતની બેટિંગનો પાયો મજબૂત થયો. ત્યારબાદ ભારતીય સ્પિનરો અને બોલરોના શાનદાર પ્રદર્શનથી યજમાન શ્રીલંકાની ટીમ માત્ર 206 રનમાં જ સમેટાઈ ગઈ. આ શાનદાર જીત સાથે ભારતે 2 મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. આ સીરિઝની આગામી મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે.
WTC પોઈન્ટ ટેબલમાં ભારત ક્યાં છે?
આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયા પાંચમા સ્થાને હતી, પરંતુ ગાલેની જીતથી ટીમને 12 મહત્ત્વપૂર્ણ પોઈન્ટ મળ્યા છે.
- હવે 10 મેચમાં 5 જીત, 4 હાર અને 1 ડ્રો સાથે ભારતના કુલ 64 પોઈન્ટ થઈ ગયા છે.
- ભારતનો પોઈન્ટ ટકાવારી (PCT) 48.15% થી ઉછળીને 53.33% થઈ ગયો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કયા સ્થાને?

બાકી રહેલી 8 ટેસ્ટ: ફાઇનલ માટે શું છે સમીકરણ?
ભારત હજુ 8 ટેસ્ટ મેચ રમવાનું છે, જેમાં શ્રીલંકા સામે 1 (કોલંબોમાં), ન્યૂઝીલેન્ડ સામે 2 (વિદેશમાં) અને ઓસ્ટ્રેલિયા સામે 5 (ઘરેલુ) મેચ રમવાની છે.
ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. ભૂતકાળના આંકડા મુજબ સામાન્ય રીતે 60% થી 70% પોઈન્ટ ટકાવારી (PCT) ધરાવતી ટીમ ફાઇનલમાં પહોંચે છે. ભારતની સ્થિતિ સુધરી છે, પણ રસ્તો હજુ આસાન નથી. ભારતે બાકીની 8 મેચોમાંથી ઓછામાં ઓછી 6 મેચ જીતવી જ પડશે.
અલગ-અલગ પરિણામો પર ભારતની સ્થિતિ
ટેસ્ટ ક્રિકેટમાં એક મેચ જીતવા બદલ 12 પોઇન્ટ મળે છે. મેચ ટાઇ થાય તો બંને ટીમને 6-6 અને ડ્રો થાય તો બંનેને 4-4 પોઇન્ટ અપાય છે. હવે એ હિસાબે ભારતની સંભાવનાઓ જોઈએ.
- જો બધી 8 મેચ જીતે: PCT 74.07% (160 પોઈન્ટ) થશે. ફાઇનલની ટિકિટ ભારતના હાથમાં હશે.
- જો 7 જીતે અને 1 ડ્રો કરે: PCT 70.37% (152 પોઈન્ટ) થશે. ફાઇનલ માટે સ્થાન લગભગ સુરક્ષિત ગણાશે.
- જો 7 જીતે અને 1 હારે: PCT 68.52% (148 પોઈન્ટ) થશે. સ્થિતિ મજબૂત રહેશે.
- જો 6 જીતે અને 2 ડ્રો કરે: PCT 66.67% (144 પોઈન્ટ) થશે. ક્વોલિફાય થવાની પ્રબળ તકો છે.
- જો 6 જીતે અને 2 હારે: PCT 62.96% (136 પોઈન્ટ) થશે. સ્થિતિ અનિશ્ચિત રહેશે. ન્યૂઝીલેન્ડ કે દક્ષિણ આફ્રિકા જેવી ટીમોની ટકાવારી સાથે સ્પર્ધા જામશે.
- જો 5 જીતે અને 3 ડ્રો કરે: તો પણ PCT 62.96% (136 પોઈન્ટ) રહેશે. એમ થાય તો ફાઇનલની આશા રહેશે, પણ અન્ય ટીમોના પરિણામ પર નજર રાખવી પડશે.
- જો 5 જીતે અને 3 હારે: PCT ઘટીને 57.41% (124 પોઈન્ટ) થઈ જશે. આ સ્થિતિમાં ભારત રેસમાંથી લગભગ બહાર થઈ જશે અને અન્ય ટીમોના ખરાબ પ્રદર્શન પર આધાર રાખવો પડશે. જોકે, 58% થી ઓછી ટકાવારી સાથે ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ છે.
હાર કરતાં ડ્રો વધુ સારો વિકલ્પ છે
જો મેચ જીતી ન શકાય તેમ હોય, તો હારવા કરતાં ડ્રો કરવી વધુ ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, 2 હાર કરતાં 3 ડ્રો કરવાથી સમાન પોઈન્ટ ટકાવારી (62.96%) જળવાઈ રહે છે.
અગાઉની WTC ફાઇનલ રમનાર ટીમોના પોઈન્ટ ટકાવારી (PCT) કેટલી હતી?
- 2019-21: ભારત (72.2%) અને ન્યૂઝીલેન્ડ (70%)
- 2021-23: ઓસ્ટ્રેલિયા (66.7%) અને ભારત (58.8%)
- 2023-25: દક્ષિણ આફ્રિકા (69.44%) અને ઓસ્ટ્રેલિયા (67.54%)
ફાઇનલ સુધી પહોંચવું સરળ નથી
ગાલેની જીતે ભારતની ફાઇનલ રમવાની આશાઓમાં નવો પ્રાણ ફૂંક્યો છે, પરંતુ અંતિમ સફર હજુ કપરી છે. શુભમન ગિલની ટીમ માટે હવે દરેક મેચનું મહત્ત્વ વધી ગયું છે. તમને શું લાગે છે, ટીમ ઈન્ડિયા બાકીની મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ત્રીજીવાર WTC ફાઇનલમાં પ્રવેશ કરશે?









