| (IMAGE - IANS) |
Team India Ahmedabad Hotel: 8 માર્ચ (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો હાઈવોલ્ટેજ ફાઈનલ જંગ ખેલાશે, જેમાં સૂર્યકુમાર યાદવની સેના ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ નિર્ણાયક મેચ પહેલા ભારતીય છાવણીએ એક વિશિષ્ટ વ્યૂહનીતિ અમલમાં મૂકી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, ભૂતકાળની નિષ્ફળતાઓના પડછાયાથી દૂર રહેવા અને નસીબનો સાથ મેળવવા માટે ભારતીય ટીમે અમદાવાદમાં પોતાની હોટલ બદલી નાખી છે. અંધવિશ્વાસ અને ભાગ્યના પરિબળને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ મોટો નિર્ણય હાલ રમત જગતમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
બે મોટી હાર બાદ BCCIનો મોટો નિર્ણય
ખરેખર, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છેલ્લા કેટલાક મોટા મુકાબલાઓમાં ભારત માટે ખાસ સારું રહ્યું નથી. વર્ષ 2023ના વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતને અહીં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય, વર્તમાન ટી20 વર્લ્ડ કપના સુપર-8 મુકાબલામાં પણ દક્ષિણ આફ્રિકાએ ભારતને આ જ મેદાન પર કારમી પછડાટ આપી હતી, જે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતની રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર હતી.
આ બંને હાર સમયે ટીમ ઈન્ડિયા જે હોટલમાં રોકાઈ હતી, બીસીસીઆઈએ આ વખતે ફાઈનલ માટે તે હોટલ સાથે છેડો ફાડી નાખ્યો છે અને ખેલાડીઓને નવી હોટલમાં ઉતારો આપ્યો છે. જોકે, સત્તાવાર રીતે કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી, પણ આ નિર્ણય પાછળ જૂની હારના ઓછાયામાંથી બહાર આવવાની ગણતરી હોવાનું સ્પષ્ટ જણાય છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન પર થશે પૈસા-ઈનામનો વરસાદ, જાણો રનર અપ ટીમને શું મળશે?
ન્યૂઝીલેન્ડ સામેનો જંગ અને હોટલ બદલવાનું 'ટોટકું'
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ પહેલા પણ આવો જ એક અનોખો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમે પોતાનું ટ્રેનિંગ સેશન 45 મિનિટ માટે મોકૂફ રાખ્યું હતું, કારણ કે તે સમયે ચંદ્ર ગ્રહણ હતું. ભારતની પરંપરા મુજબ ગ્રહણ દરમિયાન શુભ કામની શરૂઆત કરવામાં આવતી નથી. આ અનોખા નિર્ણય બાદ બીજા જ દિવસે ભારતે ઈંગ્લેન્ડને રોમાંચક મેચમાં 7 રને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ સફળતા બાદ હવે ચાહકોની નજર 8 માર્ચની ફાઈનલ પર છે. હવે જોવું એ રહ્યું કે હોટલ બદલવાનું આ 'ટોટકું' ભારતને ન્યૂઝીલેન્ડ સામે જીત અપાવીને વિશ્વ વિજેતા બનાવે છે કે નહીં.


