IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Owned Franchise Buys Pakistani Cricketer : ઈંગ્લેન્ડની રમત 'ધ હન્ડ્રેડ' માટે તાજેતરમાં યોજાયેલી હરાજીમાં એક એવો નિર્ણય લેવાયો જેણે ભારતીય સોશિયલ મીડિયા પર રોષની લાગણી ફેલાવી દીધી છે. આ હરાજીમાં ફ્રેન્ચાઈઝી 'સનરાઇઝર્સ લીડ્સ' દ્વારા પાકિસ્તાનના સ્પિનર અબરાર અહેમદને ખરીદવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ ખરીદી ઈંગ્લેન્ડની લીગ માટે થઈ છે, પરંતુ તેનો વિરોધ ભારતમાં આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ થઈ રહ્યો છે.
કેમ શરૂ થયો વિરોધ?
સનરાઇઝર્સ લીડ્સ અને આઈપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ એમ બંને ટીમોનું માલિકી હક ભારતીય મીડિયા ગ્રૂપ 'સન ટીવી' અને કાવ્યા મારન પાસે છે. જ્યારે અબરાર અહેમદને 2.34 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો, ત્યારે સોશિયલ મીડિયા પર 'Boycott SRH' અને 'Shame on SRH' જેવા હેશટેગ ટ્રેન્ડમાં આવી ગયા હતા. આરોપ છે કે ભારતીય માલિકીની ટીમ પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદી શકે?
હેડ કોચ ડેનિયલ વેટોરીનો ખુલાસો
સોશિયલ મીડિયા પર મચેલા હોબાળા વચ્ચે ટીમના હેડ કોચ ડેનિયલ વેટોરીએ આ વ્યૂહરચના પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. વેટોરીએ જણાવ્યું કે, ટીમની પ્રથમ પસંદગી ઈંગ્લેન્ડનો સ્પિનર આદિલ રશીદ હતો, પરંતુ તેને અન્ય ટીમે ખરીદી લીધો. ત્યારબાદ ઓવરસીઝ સ્પિનરની શોધમાં અબરાર અહેમદ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સામે આવ્યો. વેટોરીએ સ્પષ્ટતા કરી કે, મેનેજમેન્ટમાં ક્યારેય એવી ચર્ચા થઈ નહોતી કે પાકિસ્તાની ખેલાડીઓને લેવા કે નહીં. અમારો હેતુ માત્ર શ્રેષ્ઠ ટીમ બનાવવાનો હતો. અબરાર ઉપરાંત પાકિસ્તાનનો ઉસ્માન તારિક અને બાંગ્લાદેશનો રિશદ હુસૈન પણ તેમની નજરમાં છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
શું KKR જેવો ઈતિહાસ દોહરાવાશે?
અગાઉ આઈપીએલની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ખરીદતા આવો જ વિરોધ થયો હતો, જેના કારણે અંતે રહેમાનને રિલીઝ કરવો પડ્યો હતો. જોકે, સનરાઇઝર્સ લીડ્સના કિસ્સામાં આવું થવાની શક્યતા નહિવત્ છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પહેલેથી જ કડક વલણ અપનાવ્યું છે કે હરાજીમાં રંગ, નસ્લ કે રાષ્ટ્રીયતાના આધારે કોઈ ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં. તમામ 8 ફ્રેન્ચાઈઝીઓએ નિવેદન આપ્યું છે કે ખેલાડીઓની પસંદગી માત્ર તેમના કૌશલ્યના આધારે જ કરવામાં આવી છે.
સેમિ ફાઇનલ અને ટૂર્નામેન્ટ પર અસર
આ વિવાદની અસર આગામી આઈપીએલ 2026 પર પડે છે કે કેમ તે જોવું રહ્યું. ભારતીય ચાહકોમાં 'રાષ્ટ્રીય ભાવના' અને રમત વચ્ચેનો આ ટકરાવ હાલ ચરમસીમાએ છે. સન ટીવી કે કાવ્યા મારન તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.









