India ODI Squad vs England Announced: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સીરિઝ માટે BCCIએ 15 ખેલાડીઓની મજબૂત ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમે 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત ત્રણ વનડે મેચોની સીરિઝ પણ રમવાની છે. ટી20 સીરિઝ માટેની ટીમ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવી હતી, અને હવે ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વનડે ટીમનું લિસ્ટ પણ સામે આવી ગયું છે.
વિરાટ કોહલીની પસંદગી પણ ફિટનેસ સસ્પેન્સ
આ ટીમ સિલેક્શનની સૌથી મોટી અને ચર્ચાસ્પદ વાત એ છે કે સ્ટાર બેટર વિરાટ કોહલીને આ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, કોહલી હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નથી. ચીફ સિલેક્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલીની ઉપલબ્ધતા તેની 'ફિટનેસ ક્લિયરન્સ' પર આધારિત રહેશે. એટલે કે, આગામી સમયમાં યોજાનારા ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ જ કિંગ કોહલી આ વનડે સીરિઝમાં મેદાન પર રમી શકશે.
બુમરાહ અને અક્ષર પટેલની ધમાકેદાર વાપસી
ક્રિકેટ ફેન્સ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર એ છે કે ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની વનડે સેટઅપમાં વાપસી થઈ ગઈ છે. બુમરાહ છેલ્લે વર્ષ 2023ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ માટે 50 ઓવર્સ ક્રિકેટ રમ્યો હતો, જે બાદ તે વનડે ફોર્મેટથી દૂર હતો.
આ સિવાય ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ વનડે ટીમમાં પાછો ફર્યો છે, જે અગાઉ અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો.
જોકે, પસંદગીકારોએ યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેને આ વનડે સ્ક્વોડમાં સ્થાન આપ્યું નથી.

ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય સ્કવોડ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી* (ફિટનેસ ક્લિયરન્સને આધીન), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર.


