ભારતીય ટીમની નબળી શરૂઆત, ચોથા દિવસની રમતના અંતે 4 વિકેટે 58 રન, જીતવા 135 રનની જરૂર
India-England Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં રસાકસી જેવી સ્થિતિ ઉભી થઈ છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, ત્યારબાદ બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે નબળી શરૂઆત કરી છે. ટીમે ચોથા દિવસના રમતના અંતે ચાર વિકેટે 58 રન નોંધાવ્યા છે. હવે ભારતે જીતવા માટે 135 રનની અને ઈંગ્લેન્ડે જીતવા માટે 6 વિકેટની જરૂર છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા, તો ભારતે પણ પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા.
જયસ્વાલ, નાયર, ગિલ, દીપ સસ્તામાં આઉટ
બીજી ઈનિંગ રમવા ઉતરેલી ભારતીય ટીમે નબળી શરૂઆત કરી છે. ઓપનિંગમાં આવેલો યશસ્વી જયસ્વાલ શૂન્ય રને આઉટ થયો છે, તો કરૂણ નાયર 16 રને, શુભમન ગિલ છ રને અને આકાશ દીપ એક રને આઉટ થયો છે. જ્યારે કે.એલ.રાહુલ હજુ રમતમાં છે. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતનો સ્કોર ચાર વિકેટે 58 રન પહોંચ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી બાયડોન કાર્સે બે વિકેટ તો જોફ્રા આર્ચરે એક વિકેટ ઝડપી છે.
ભારત-ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં નોંધાવ્યા 387-387 રન
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જો રૂટના 104 રન, જેમી સ્મિથના 51 રન અને બ્રેડોન કાર્સના 56 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ, મોહમ્મદ સિરાજ અને નિતિશકુમાર રેડ્ડીએ બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારતે પ્રથમ ઈનિંગમાં કે.એલ.રાહુલના 100 રન, રિષભ પંતના 74 રન અને રવિન્દ્ર જાડેજાના 72 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રન ઓલઆઉટ, સુંદરની ચાર વિકેટ
આજે ચોથા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ નબળુ પ્રદર્શન કર્યું હતું. ટીમ તરફથી સૌથી વધુ જો રુટે 30 રન, સુકાની બેન સ્ટોક 33 રન, હેરી બ્રુક 23, જેક ક્રાઉલી 22, બેન ડક્કેત 12 રન, ક્રિશ વોક્સ 10 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શિરાજે બે-બે વિકેટ, નિતિશકુમાર રેડ્ડી અને આકાશ દીપે એક-એક વિકેટ ઝડપી હતી. બુમરાહની વાત કરીએ તો તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી મેચમાં કુલ સાત વિકેટ ઝડપી છે.
રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ
ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ મહારેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ એક પણ સદી ફટકારી નથી, છતાં તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ગજબનું કારનામું કરી બતાવ્યું છે. જાડેજાએ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 131 બોલમાં 8 ફોર અને એક સિક્સ ફટકારી 72 રન નોંધાવ્યા હતા. એટલું જ નહીં, તેણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. ત્યારે આ અડધી સદી જાડેજાને મહારેકોર્ડ તરફ લઈ ગઈ છે. જાડેજા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈતિહાસ (World Test Championship Record History) માં 15 અડધી સદી, 130થી વધુ વિકેટ અને 2000થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જાડેજાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની સતત ત્રીજી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે.
લોર્ડ્સ ટેસ્ટમાં દેખાયો ટીમ ઈન્ડિયાનો જુસ્સો
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે. ગઈકાલે બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીની હરકતના કારણે સુકાની શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ સહિતના ખેલાડીઓ નારાજ થયા હતા, ત્યારે આજે ત્રીજા દિવસની રમતમાં ભારતીય ટીમના બોલર મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડને જોરદાર જવાબ આપ્યો છે. સિરાજે આજે પાંચમી ઓવરનાં પાંચમાં બોલે ઓલી પોપ (Ollie Pope)ને LBW આઉટ કર્યો હતો. આ દરમિયાન એમ્પાયરે પોપને નોટઆઉટ જાહેર કર્યો હતો, જેના કારણે સિરાજે કોમ્ફિડન્સ સાથે સુકાની ગિલ પાસે પહોંચી DRS લેવડાવ્યો હતો, જેમાં થર્ડ એમ્પાયરે પોપને આઉટ જાહેર કર્યા બાદ સિરાજ ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ સિરાજની 11મી ઓવરના છેલ્લા બોલે બેન ડક્કેત (Ben Duckett) કેચ આઉટ થયો હતો, ત્યારે પણ સિરાજ ભરપૂર જુસ્સામાં જોવા મળ્યો હતો. સિરાજ ડક્કેત તરફ ધસી ગયો હતો અને બંનેના ખભા ટકરાયા હતા. સિરાજનું સેલિબ્રેશન ખૂબ જ આક્રમક હતું, જેના કારણે એમ્પાયરે તેને શાંત કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : લોર્ડ્સમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી
ભારત-ઈંગ્લેન્ડની મેચમાં ગજબનો સંયોગ જોવા મળ્યો
ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતમાં ગજબનો સંયોગ જોવા મળ્યો છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી 387 રન નોંધાવ્યા હતા, તો ભારતીય ટીમે પણ પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા. આમ 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં બે ટીમો એકસરખા રનની નવમી વખત ઘટના બની છે. ભારત-ઈંગ્લેન્ડની બંનેની પ્રથમ ઈનિંગ એકસરખા રન સાથે સમાપ્ત થઈ હતી. એટલું જ નહીં, આ સાથે બંને ટીમના પ્રથમ ઈનિંગના સ્કોર સરખા થયા હોય તેવી ઘટના 10 વર્ષ બાદ બની હતી. અગાઉ મે-2015માં રમાયેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના 350ના સ્કોર સામે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 350માં ઓલઆઉટ થઈ હતી. જોકે લીડ્સમાં રમાયેલી તે ટેસ્ટ આખરે ન્યુઝીલેન્ડ જીત્યું હતુ.
આ પણ વાંચો : લોર્ડ્સ ટેસ્ટમાં ઝઘડો, ગિલ-ક્રાઉલી વચ્ચે બોલાચાલી, જુઓ VIDEO
બીજી દિવસે ક્રાઉલીએ ઉભો કર્યો હતો વિવાદ
ટેસ્ટનાં ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર જેક ક્રાઉલીની હરકતના કારણે ભારતીય સુકાની શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ નારાજ થયા હતા. ક્રાઉલીએ ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય તે પહેલા સમય બરબાદ કરવાની રણનીતિ અપનાવી હતી. મેચના સમય મુજબ ટીમ ઈન્ડિયા છેલ્લી ઘડીએ બે ઓવર નાખી શકી હોત, પરંતુ ક્રાઉલીની હરકતના કારણે એક જ ઓવર નાખી શકાઈ હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી ત્યારે છ મિનિટનો સમય બચ્યો હતો, જેમાં બે ઓવર નાખી શકાતી હતી, પરંતુ ક્રાઉલીએ સમય બરબાદ કર્યો, ઓવરની પાંચમી બોલે તેને ઈજા પણ થઈ, જેના કારણે ભારતીય ટીમ માત્ર એક ઓવર જ નાખી શકી.
ઘટના અંગે ઈંગ્લેન્ડના પેસ બોલિંગ કન્સલ્ટન્ટ ટિમ સાઉદીએ ગિલ પર નિશાન સાધતા કહ્યું કે, ‘બીજા દિવસની રમતના અંતે ગિલ મસાજ કરાવી રહ્યો હતો, ત્યારે કોઈએ કંઈ ન કહ્યું. રમતમાં આ બધુ ચાલતું રહે છે.’
ભારતના ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલે ક્રાઉલીનો બચાવ કરતા કહ્યું કે, ‘હું પોતે એક ઓપનર છું અને હું સમજી શકું છું કે, મેદાનમાં ક્રાઉલી શું કરી રહ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંતે છેલ્લી પાંચ મિનિટમાં શું થયું, તે બધાને ખબર છે. જોકે તેને એક ઓપનર જ સારી રીતે સમજી શકે છે. ગિલનો ગુસ્સો પણ વ્યાજબી હતો. અમે ઈચ્છતા હતા કે, બે ઓવર નાખવામાં આવે. જોકે આવા સમયમાં બેટર માટે બે ઓવર રમવી મુશ્કેલ હોય છે. અમે તે તકની લાભ ઉઠાવવા માંગતા હતા.’