એ બધું મને નથી ખબર, એ તમારું કામ છે... ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ બોલ્યો કોહલી
Virat Kohli's Big Statment After India's Win : આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા પાછળ કોહલીનો મોટો ફાળો રહેલો છે. તેણે 98 બોલમાં ચાર ફોર સાથે 84 રન બનાવ્યા છે, જેને નિશ્ચિતરૂપે તેના કેરિયરની શ્રેષ્ઠ બેટિંગમાંથી એક કહી શકાય છે. કોહલીની પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદગી થઈ છે. ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચ્યા બાદ કોહલીએ પોતાની બેટિંગને લઈને દિલ ખોલીને વાત કહી છે.
ઓસ્ટ્રેલિયા સામેની સ્થિતિ પાકિસ્તાન જેવી હતી : કોહલી
કોહલીએ કહ્યું કે, ‘આજનો દિવસ બરાબર પાકિસ્તાન સામેના દિવસ જેવો હતો. આજની મેચની મહત્ત્વની બાબત પરિસ્થિતિઓને સમજવાની તેમજ સ્ટ્રાઈક પર ધ્યાન આપવાનું હતું. કારણ કે આવી પીચો પર પાર્ટનરશીપ ખૂબ જ મહત્ત્વની હોય છે. તે સંપૂર્ણપણે પરિસ્થિતિ પર નિર્ભર છે અને તે મુજબ હું મારી ઈનિંગ્સ રમ્યો છું. મારી ટાઈમિંગ, શાંત મૂડ, સ્થિરતા સંપૂર્ણપણે પરિસ્થિતિ પર આધારિત છે. મેં આજે કોઈપણ સમયે ઉતાવળ કરી નથી.’
આ પણ વાંચો : ભારતની ફાઈનલમાં એન્ટ્રી, સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, કોહલી-રાહુલ-હાર્દિક છવાયા
‘...તો પણ હું ચિંતા કરતો નથી’
તેણે કહ્યું કે, ‘બેટિંગ દરમિયાન મેં જે સિંગલ રન કર્યા, તે મારા માટે ખુશી આપનારા છે. આજની મેચમાં દબાણ પર ધ્યાન આપવાનો મામલો હતો. જો મેચનો ટાર્ગેટ અંતિમ ઓવરો સુધી લઈ જવામાં આવે તો પ્રતિસ્પર્ધી નબળા પડી જાય છે. સ્વાભાવિક રીતે આવી મોટી મેચમાં આવી ઈનિંગ્સ દરમિયાન મૂડને નિયંત્રણમાં રાખવું મહત્ત્વનું છે. જો જરૂરી રન એવરેજ પ્રતિ ઓવર છ રનની હોય તો પણ હું ચિંતા કરતો નથી.”
‘મેં ક્યારેય આવી બાબતો પર ધ્યાન આપ્યું નથી’
જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું કે, શું આ તેણે રમેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ છે? તો કોહલીએ કહ્યું કે, ‘હું ક્યારે મૂલ્યાંકન કરતો નથી, એ બધું મને નથી ખબર, એ તમારું કામ છે. મેં ક્યારેય આવી બાબતો પર ધ્યાન આપ્યું નથી. જ્યારે તમે રેકોર્ડ્સ વિશે વિચારતા નથી, ત્યારે તે બની જાય છે. જો હું સદી ફટકારીશ તો તે શાનદાર છે, પરંતુ જીતવું વધુ મહત્વનું છે. આવી બાબતોથી મને બહુ ફરક પડતો નથી.’
આ પણ વાંચો : ભારત ભલે જીત્યું પણ પંડ્યાએ ધોની પાસેથી શીખવા જેવું : કપિલ દેવે જુઓ શું શિખામણ આપી