Pakistan Boycott India Match: પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામસામે આવી ગયા છે. પાકિસ્તાન સરકારે રવિવારે રાત્રે જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનાર હાઇ-પ્રોફાઇલ મેચનો બહિષ્કાર કરશે. હવે આ મામલે ICC પાકિસ્તાન પર મોટી એક્શન લેવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ICC આ મામલે આગળની કાર્યવાહી માટે ટૂંક સમયમાં બેઠક બોલાવી શકે છે. ICC બોર્ડની બેઠક મંગળવારે અથવા બુધવારે થઈ શકે છે.
પાકિસ્તાન સરકારે 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી એ જાહેરાત કરી કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભારત સાથેની મેચ નહીં રમશે. આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCને સત્તાવાર રીતે જાણ નથી કરી કે તે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા બાંગ્લાદેશે સુરક્ષા કારણોનો હવાલો આપીને ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મુદ્દે ખૂબ હોબાળો મચ્યો હતો અને અંતે ICCએ મોટી કાર્યવાહી કરતા બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું અને તેના સ્થાને સ્કોટલૅન્ડને સામેલ કર્યું. હવે પાકિસ્તાને પણ કંઈક આવો જ નિર્ણય લઈને પોતાના પર પ્રતિબંધોની સંભાવનાને ખૂલ્લું આમંત્રણ આપી દીધું છે.
અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, PCB ચીફ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ભારત સાથેની મેચના બહિષ્કાર પર મૌન સાધ્યું છે. જ્યારે નકવીએ સમગ્ર T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમો બહિષ્કાર કરવાની વાત કહી હતી.
પાકિસ્તાનને શું સજા મળી શકે છે?
આ જ મીડિયા રિપોર્ટ પ્રમાણે જો પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ટીમ ઇન્ડિયા સામે મેચ નહીં રમે તો ICC તેની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આના કારણે પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં બે પોઇન્ટ ગુમાવવા પડશે અને તેના નેટ રન રેટમાં પણ નુકસાનનો સામનો કરવો પડશે. આ ઉપરાંત પાકિસ્તાન પર વધુ પ્રતિબંધો પણ લાદવામાં આવી શકે છે.
- ICCના રેવન્યુનો એક હિસ્સો PCB ને મળે છે, જે તેની આવકના સૌથી મોટા સ્ત્રોતોમાંથી એક છે. ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
- બીજો મોટો ઝટકો એ લાગી શકે છે કે, પાકિસ્તાન સુપર લીગ(PSL)માં વિદેશી ખેલાડીઓના રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
- ભારત-પાકિસ્તાન મેચ માત્ર બંને ક્રિકેટ બોર્ડ માટે જ નહીં પરંતુ બ્રોડકાસ્ટર્સ માટે પણ નફાકારક ડીલ સાબિત થતી આવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા મેચનો બહિષ્કાર કરવા પર ICC તેને નુકસાનની ભરપાઈ માટે બ્રોડકાસ્ટર્સને વળતર આપવાનો આદેશ આપી શકે છે.
- પાકિસ્તાનને સાથે જેડાયેલી તમામ દ્વિપક્ષીય સીરિઝ પર પ્રતિબંધની સાથે તેને એશિયા કપમાંથી પણ બહાર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ભારતનો બોયકોટ કરીને પોતાના જ પગ પર પાકિસ્તાને મારી કુહાડી... નોક આઉટમાં શું કરશે PCB ?


