હું તો ક્યારનો કહું છું કે તેને ટીમમાંથી કાઢી મૂકો..., તિલક વર્મા પર ભડક્યો 1983 વર્લ્ડકપનો ખેલાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs England: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ઘણી ટી20 મેચ હારી ચૂકી છે. ખાસ કરીને ભારતીય બેટિંગ લાઇન-અપ ભારે ટીકાઓનો સામેનો કરી રહી છે. ત્રીજી ટી20 મેચમાં તો આખી ભારતીય ટીમ માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ઈંગ્લેન્ડની ધરતી પર મેન્સ ટી20માં ભારતનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. ચોથી ટી20માં પણ ઈંગ્લેન્ડ ભારત સામે આસાની જીતી ગયું છે. આ કારમા પરાજય બાદ પૂર્વ ઓપનર અને BCCIના પૂર્વ ચીફ સિલેક્ટર ક્રિષ્નામાચારી શ્રીકાંતે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તિલક વર્મા પર આકરા પ્રહારો કર્યા છે.
શ્રીકાંતે તિલક વર્માને શોર્ટ-પિચ બોલિંગ સામે લાચાર ગણાવતા તેમને ટીમમાંથી બહાર કરવાનો આગ્રહ કર્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડી શ્રીકાંતે કહ્યું કે-
તે અત્યારથી જ વાઇસ કેપ્ટન બની ગયો છે અને એવું લાગે છે કે ટૂંક સમયમાં કેપ્ટન પણ બની જશે. પિચની સ્પીડ અને બાઉન્સ જોઈને કદાચ તિલક વર્માએ પોતે જ મેદાન પર જવાની ના પાડી દીધી હશે! તિલક વર્મા અત્યારે સાવ દિશાહીન દેખાઈ રહ્યો છે.
'તિલક વર્માને કેમ બચાવવામાં આવી રહ્યો છે?'
શ્રીકાંતે ભારતીય ટીમ મેનેજમેન્ટની વ્યૂહનીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, 'તમે તિલક વર્માને તમારા મુખ્ય બેટર અને વાઇસ કેપ્ટન બનાવો છો, છતાં તેને ફાસ્ટ બોલિંગ સામે કેમ બચાવો છો? તેની જગ્યાએ અક્ષર પટેલને વહેલા બેટિંગમાં મોકલવામાં આવી રહ્યા છે. મેનેજમેન્ટ તિલક વર્માને એટલા માટે છુપાવી રહ્યું છે કારણ કે તેઓ જાણે છે કે તે શોર્ટ-પિચ બોલિંગ સામે નબળો છે. હું સતત કહી રહ્યો છું કે તેને ટીમમાંથી ડ્રોપ કરવો જોઈએ, પણ તેઓ તેને બહાર નથી કરતા.' ત્રીજી ટી20માં તિલક વર્મા ભારે સંઘર્ષ બાદ 11 બોલમાં માત્ર 3 રન જ અને ચોથી ટી20માં 8 બોલમાં 11 રન જ બનાવી શક્યો હતો જેથી શ્રીકાંતે કહ્યું- 'હું તિલક વર્માના સ્થાને સંજુ સેમસનને રમાડવાનું વધુ પસંદ કરીશ.'
ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે નિષ્ફળ ગયા બાદ સેમસનને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના સ્થાને 15 વર્ષના સૂર્યવંશીને તક આપવામાં આવી હતી. જો કે, સૂર્યવંશી પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. હવે જ્યારે આખી બેટિંગ લાઇન-અપ દબાણમાં છે, ત્યારે આગામી છેલ્લી ટી20 મેચ માટે સેમસનની ટીમમાં વાપસી થઈ શકે છે.









