'અમુક વસ્તુ ખેલ ભાવનાથી ઉપર, પહલગામ...' સૂર્યકુમારે જણાવ્યું હાથ ન મિલાવવાનું કારણ
IND vs PAK Asia Cup News : ભારતીય ક્રિકેટ T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમિયાન ટોસ વખતે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. જે મામલે વિવાદ થતા તેમણે પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. એટલું જ નહીં, મેચ પછી ભારતીય ખેલાડીઓએ પણ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો. ખરેખર, આ એક પરંપરા છે, જેમાં બંને ટીમના ખેલાડીઓ મેચ સમાપ્ત થયા પછી એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે.
સૂર્યકુમારે શું કહ્યું?
એક પત્રકારે સૂર્યકુમારને પૂછ્યું કે શું તમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવો રમતની ભાવના વિરુદ્ધ છે? આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે કેટલીક બાબતો રમતની ભાવનાથી ઉપર હોય છે. જોકે, અગાઉ સૂર્યકુમારે મેચ પછીના સમારોહમાં કહ્યું હતું કે અમે પહલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે પીડિતો સાથે એકજૂટતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.
વિવાદ અંગે શું કહ્યું?
પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવવાના નિર્ણય અંગે સૂર્યાએ કહ્યું કે અમારી સરકાર અને BCCI આ નિર્ણય પર એકમત હતા. અમે અહીં ફક્ત રમત રમવા માટે આવ્યા હતા અને મને લાગે છે કે અમે તેમને યોગ્ય જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા ન હતા. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું હતું કે ભારતીય ટીમ દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર કરવાથી પાકિસ્તાની ટીમ નિરાશ થઈ હતી અને તેથી જ સલમાન આગા એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા ન હતા.
સૂર્યાને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો
ગયા અઠવાડિયે દુબઈમાં ટુર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનોની બેઠક દરમિયાન જ્યારે સૂર્યકુમાર પાકિસ્તાની કેપ્ટન સલમાન સાથે હાથ મિલાવતા જોવા મળ્યા ત્યારે તેમની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને શુભેચ્છા પાઠવવા બદલ પણ તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.