Sports

દેશના 17 ખેલાડી પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત, આ યાદીમાં એક પણ ક્રિકેટર નહીં

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર માટે 17 ખેલાડીઓની પસંદગી કરી છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતામાં રમતગમત મંત્રાલયે આ જાહેરાત કરી. ચેસ વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ, વિદિત ગુજરાતી, તેજસ્વિન શંકર, ગાયત્રી ગોપીચંદ સહિતના ખેલાડીઓને રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના 17 ખેલાડી પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત, આ યાદીમાં એક પણ ક્રિકેટર નહીં

Arjuna Award 2026 : ભારતીય રમતગમત જગત માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ આવી પહોંચી છે. ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર માટે 17 મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની ભલામણોના આધારે રમતગમત મંત્રાલય દ્વારા વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર રમત ક્ષેત્રે છેલ્લા 4 વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન, નેતૃત્વ, ખેલદિલી અને શિસ્ત દર્શાવનાર ખેલાડીઓને એનાયત કરવામાં આવે છે.

અર્જુન પુરસ્કારના 17 વિજેતાઓ

અર્જુન પુરસ્કાર માટે પસંદ કરાયેલા 17 રમતવીરોની યાદીમાં ચેસ વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ, ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી, ડેકાથલીટ અને હાઈ જમ્પર તેજસ્વિન શંકર તથા બેડમિન્ટન સ્ટાર ગાયત્રી ગોપીચંદ અને તેમની ડબલ્સ પાર્ટનર ટ્રીસા જોલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એથ્લેટિક્સમાં મોહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામી, બોક્સિંગમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા નરેન્દ્ર, ડેફ શૂટિંગમાં ધનુષ શ્રીકાંત, હોકીમાં લાલરેમસિયામી અને રાજકુમાર પાલ, કબડ્ડીમાં સુર્જીત અને પૂજા, પેરા શૂટિંગમાં રૂદ્રાંશ ખંડેલવાલ, પેરા એથ્લેટિક્સમાં એકતા ભ્યાન, રોઇંગમાં અરવિંદ સિંહ તથા શૂટિંગમાં અખિલ શ્યોરાણની પસંદગી કરવામાં આવી છે. ફૂટબોલમાં વિશિષ્ટ યોગદાન આપનાર આઈ અરુમનાયગમને અર્જુન પુરસ્કાર (લાઈફટાઈમ) એનાયત થશે.

This image has an empty alt attribute; its file name is HP_WYqdaoAArDM_

દ્રોણાચાર્ય અને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ આપનાર કોચ માટેના દ્રોણાચાર્ય પુરસ્કાર માટે એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ એવા પ્રશિક્ષકોને આપવામાં આવે છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત, દ્રોણાચાર્ય પુરસ્કાર (લાઈફટાઈમ) શ્રેણીમાં બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારના નામ નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેઓ રમત ક્ષેત્રે દીર્ઘકાલીન સેવાઓ આપી ચૂક્યા છે.

ખેલ પ્રોત્સાહન અને ખેલ રત્ન અંગે નિર્ણય

રમતગમતના વિકાસ અને પ્રોત્સાહન ક્ષેત્રે યોગદાન આપવા બદલ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર માટે આર્મી પેરાલમ્પિક નોડ, પુણેની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર ખાનગી કે જાહેર ક્ષેત્રની સંસ્થાઓ તથા એનજીઓને રમતોને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. બીજી તરફ, રમતગમત મંત્રાલયે આ વર્ષે દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે કોઈ પણ ખેલાડીની પસંદગી કરી નથી. તમામ પુરસ્કાર વિજેતાઓનું ટૂંક સમયમાં જ ભવ્ય સમારંભમાં સન્માન કરવામાં આવશે.