| દારિયો અમોડેઈ |
Anthropic Contradict on AI Jobs: Anthropicના સીઈઓ દારિયો અમોડેઈ દુનિયાને જણાવવા માગે છે કે વાઇટ કોલર જોબની જગ્યા AI ખૂબ જ ઝડપથી લઈ લેશે. AIનો વિકાસ જેમ-જેમ આગળ થઈ રહ્યો છે તેમ-તેમ નોકરી પર જોખમ વધી રહ્યું છે. મોટાભાગની કંપનીઓમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે Anthropicના હેડ ઓફ ગ્રોથ અમોલ અવાસરે મુજબ AI કંપની લોકોની જગ્યા નથી લઈ શકતી. AIનો ઉપયોગ કરવા થતાં તેમની કંપનીએ વધુ લોકોને નોકરી પર રાખવાની જરૂર પડી રહી છે.
2025ના મે મહિનામાં દારિયો અમોડેઈ દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે 50 ટકાથી વધુ નોકરી AIને કારણે જતી રહેશે. બેરોજગારીની ટકાવારી 10-20 ટકા પહોંચી જશે. AI કંપનીઓ અને સરકાર દ્વારા આ વિશે લોકોને ગેર રસ્તે દોરવામાં આવી રહ્યા છે. દારિયો અમોડેઈ લોકોને ચેતવવા માગે છે કે AI હવે વાઇટ કોલર જોબની જગ્યા લઈ લેશે અને એ પણ ખૂબ જ ઝડપથી. આગામી પાંચ વર્ષમાં જે-તે કંપનીમાંથી એન્ટ્રી લેવલની જોબ અડધાથી વધુ ઓછી થઈ જશે.
આ વર્ષે દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં દારિયો અમોડેઈ દ્વારા ફરી એ વિશે જોર મૂકવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર AIને લઈને જે તૈયારી રાખી રહી છે એ કોઈ કામ નથી આવવાની કારણ કે AI દ્વારા નોકરી પર જે અસર પડશે એ દરેકની કલ્પના બહારની છે. ટેક્નોલોજી, ફાયનાન્સ, લો અને કન્સલ્ટન્ટ જેવા ક્ષેત્રમાં એની સૌથી પહેલાં અસર પડશે. મોટાભાગના લોકોને આ વિશે જાણ પણ નથી અને તેમને અચાનક ધ્રાસ્કો પડશે.
જોકે Anthropicની અંદર કામ કરતાં અને એક સિનિયર પોઝિશન પર કામ કરતા કર્મચારી અને કંપનીના હેડ ઓફ ગ્રોથ અમોલ અવાસરેનું આ વિશે એકદમ અલગ વલણ છે. તેમના કહ્યું મુજબ કંપની હાલમાં પ્રોડક્ટ મેનેજરને નોકરીએ રાખવા માટે ખૂબ જ જોરશોરથી શોધ કરી રહી છે. Anthropicનું AI કોડિંગ ટૂલ Claude Codeના ઉપયોગથી એન્જિનિયરિંગ આઉટપુટ ત્રણ ગણું વધી ગયું છે, પરંતુ આ તમામ કામ હ્યુમન દ્વારા ડિરેક્ટ કરવામાં આવે છે અને એથી એની જગ્યા કોઈ નથી લઈ શકતું. આ વિશે અમોલ કહે છે, ‘પ્રોડક્ટ મેનેજર અને ડિઝાઇનમાં લોકોની ખૂબ જ જરૂર છે. એની હવે ખૂબ જ અછત પણ વર્તાઈ રહી છે. અમારે ઘણાં પ્રોડક્ટ મેનેજરને હાયર કરવાની જરૂર છે.’
એક તરફ કંપની દુનિયાભરને નોકરી જવાની ચેતવણી આપી રહી છે, પરંતુ તે પોતાની જ કંપનીમાં એક વર્ષોથી ચાલી આવતાં એટલે કે એક ટ્રેડિશનલ રોલ માટે લોકોને શોધી રહી છે. આ વિરોધાભાસ જોઈને એ વાત તો નક્કી છે કે લોકો ગમે એટલી ચેતવણી કે આગાહી આપે, પરંતુ હાલમાં AIને લઈને શું પરિસ્થિતિ છે એ દરેક જોઈ શકે છે.
Anthropicના પોતાના રિસર્ચમાં AI પૂરેપૂરી ક્ષમતા પર કામ નથી કરતું
2026ના માર્ચમાં Anthropicના રિસર્ચર્સ મેક્સિમ મેસેન્કોફ અને પીટર મેકક્રોરી દ્વારા એક સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડી AI થિયરી મુજબ કેટલું કામ કરી શકે છે અને ખરેખર કંપનીમાં કેટલું કામ કરી રહ્યું છે એના પર કરવામાં આવી હતી. AIની સૌથી વધુ અસર કોમ્પ્યુટર પ્રોગ્રામર પર પડી હોવાનું જાણવા મળ્યું હતું અને આ ટકાવારી 74.5 ટકા છે. આથી AI દ્વારા તેને જે કામ કરવામાં આપ્યું છે એમાં તે 75 ટકા કામ કરી રહ્યું છે. ત્યાર બાદ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ અને ડેટા એન્ટ્રી વર્કર્સ પર સૌથી વધુ અસર થઈ છે.
જોકે મોટા પિક્ચર પર જ્યારે નજર કરીએ ત્યારે AI થિયરી મુજબ 94 ટકા કામ કરી શકે છે, પરંતુ તે કંપનીમાં કરી નથી રહ્યું. Claude દ્વારા હાલમાં કંપનીમાં ફક્ત 33 ટકા કામ કરવામાં આવી રહ્યું છે. આથી તેની ધારવામાં આવેલી ક્ષમતા કરતાં તે ખૂબ જ ઓછું કામ કરી રહ્યું છે. લીગલ, ઓફિસ એડમિન અને ફાયનાન્સમાં પણ AIની ક્ષમતા અને ખરેખર કામ કરી રહ્યું હોવા વચ્ચે ઘણો તફાવત જોવા મળ્યો છે.
આ તમામ ડિપાર્ટમેન્ટમાં AIની ખૂબ જ અસર પડી છે. જોકે એમ છતાં બેરોજગારીમાં કોઈ ભયંકર તફાવતની ટકાવારી જોવા નથી મળી. જોકે ChatGPT આવ્યા બાદ 22-25 વર્ષના કર્મચારીઓને નોકરી પર રાખવામાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
AIના યુગમાં કામનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, જોબ્સ નહીં
AIના સૌથી વધુ સંપર્કમાં આવતા કર્મચારીઓની પ્રોફાઇલ આશ્ચર્યજનક છે. એન્થ્રોપિકના ડેટા દર્શાવે છે કે તેઓ સૌથી ઓછા સંપર્કમાં આવતા જૂથ કરતાં 47% વધુ કમાણી કરે છે. એમાં સ્ત્રીઓ હોવાની શક્યતા 16 ટકા વધુ છે, અને ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવવાની શક્યતા લગભગ ચાર ગણી વધારે છે. Claude Code બનાવનાર એન્જિનિયર બોરિસ ચેરનીએ 2026ની ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે આ વર્ષે સોફ્ટવેર એન્જિનિયરની નોકરી પર જોખમ છે. જોકે ત્યાર બાદ આ નોકરીનું નામ-ઓ-નિશાન દૂર થઈ જવાની જગ્યાએ એની વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. તેમનો ઉપયોગ હવે સ્પેશિફિક રાઇટિંગ, યુઝર રિસર્ચ અને પ્રોડક્ટ થિંકિંગ માટે કરવામાં આવી રહ્યો છે. Anthropic દુનિયાને કહી રહ્યું છે કે AI તમામની નોકરી લઈ લેશે. જોકે કંપની પોતે જ લોકોને નોકરીએ રાખવા માટે માણસ શોધી રહી છે, જે AIને વધુ સારું બનાવી શકે.


