ગોહિલવાડમાં હર્ષોલ્લાસભેર રંગોત્સવ ધૂળેટીની ઉજવણી

- 2 વર્ષ બાદ રંગોત્સવ ધૂળેટી પર્વની રોનક પરત ફરી
- ભાવનગર જિલ્લાના વિવિધ પર્યટન સ્થળોએ પણ માનવ મહેરામણ જોવા મળ્યો
લોકપર્વ હોળીના બીજા દિવસે રંગોત્સવના ધૂળેટીના તહેવારની અગાઉની પરંપરા મુજબ ગોહિલવાડમાં રંગે-ચંગે ઉજવણી કરાઈ હતી. બાળરાજાઓ માટે રંગ અને પીચકારી વગરની ધૂળેટીની ઉજવણી અસંભવ હોય તેઓ માટે વાલીઓની શહેરની બજારોમાં અંતિમ ઘડીએ ખરીદી નિકળતા વેપારીવર્ગ ખુશ જણાયો હતો. શહેર અને જિલ્લાભરમાં શેરીઓ મહોલ્લાઓમાં,સાર્વજનિક ગ્રાઉન્ડમાં તેમજ સર્કલો આસપાસ શુક્રવારે સવારથી જ બાળકો, કિશોરો અને યુવાનો તેમના સમવયસ્ક મિત્રોને રંગે રમવા માટે નિકળી પડયા હતા.જેમાં ખાસ કરીને નવવિવાહિત યુગલો તેમના ગૃપમાં રંગે રમતા નજરે પડયા હતા. શહેરના રૂપાણી સર્કલ, ઘોઘાસર્કલ, શિવાજી સર્કલ સહિતના અનેક સર્કલો આસપાસ યુવાનોના ટોળેટોળાઓ તેમના ટુવ્હીલર્સમાં મિત્રો અને સ્વજનોને રંગે રમવા ઉમટી પડયા હતા. ધૂળેટીના પર્વે મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ એસોસીએશન સહિત અનેક સંગઠનો દ્વારા ફકત સભ્યો માટે ડીજેના સંગાથે રંગપર્વ ઉજવાયુ હતુ. ધૂળેટીના આ લોકપર્વે અત્રે હજજારો ટન રંગ ગુલાલ ઉડાડાયો હતો.ભાવનગર શહેરની બજારોમાં પણ બપોર બાદ બજારો આંશિક રીતે બંધ રહી હતી. ગોહિલવાડના તમામ આસ્થાના કેન્દ્ર સમાન પ્રાચીન અને અર્વાચીન વૈષ્ણવતીર્થો, સ્વામિનારાયણ મંદિરો તેમજ પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ભગવાનને ભોગ ધરાયા બાદ ડોલોત્સવ ઉજવાયો હતો. ઠાકોરજીને ઝુલામાં પધરાવીને સોના અને ચાંદીની પીચકારીઓથી કેસૂડાના રંગ ભરીને તેમજ અબીલ અને ગુલાલ વડે ઠાકોરજીને પુજારી પરિવાર, કોઠારી સ્વામી તેમજ સંતગણ તેમજ ભીતરીયાઓ દ્વારા ભાવભેર રંગે રમાડયા હતા. શહેરના મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ તેમજ કેટરર્સ અને રસોયાઓના ગૃપ દ્વારા ઉંધીયુ અને શીખંડના સ્ટોલ ઉભા કરાયા હતા. જયાં ગ્રાહકોની ભારે ભીડ જણાઈ હતી.આજના પર્વે ઉંધીયુ તેમજ શીખંડની અનેક પરિવારોએ જયાફત ઉડાવી હતી. જયારે સાંજે શહેરની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાઓ પર ખાણી પીણી માટે યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી. જયારે અનેક યુવાનો પરિવારજનો, મિત્રો સાથે કુડા, કોળીયાક, હાથબ, ઝાંઝમેર, ગોપનાથ સહિતના પર્યટન સ્થળોએ ટીફીન સાથે પહોંચી ગયા હતા. જયારે ધાર્મિક સંસ્થાઓના મંડળો ભાવિકોને લઈને ડાકોર, શ્રીનાથજી અને દ્વારકા દર્શનાર્થે તેમજ પુનમ ભરવા ગયા હતા.
સિંધી વસાહતોમાં ઘેવરના તાવડા મંડાયા હતા
રંગોત્સવના પચરંગી મહાપર્વ હોળી ધૂળેટી દરમિયાન સામાન્ય રીતે આપણે ત્યાં સૌ કોઈ ખજુર, ધાણી, દાળીયા અને પતાશા ખાઈને હરખભેર ઉજવણી કરાતી હોય છે ત્યારે સમસ્ત સિંધી સમાજમાં હોળીના તહેવારમાં સ્પેશ્યલ કેસ તરીકે ઘેવર ખાઈને ખાસ ઉજવણી કરાઈ હતી.આ વર્ષે પણ શહેરના રસાલા કેમ્પ તેમજ સિંધુનગરમાં વસતા અનેક સિંધી પરિવારોને ત્યાં ઘેવર બનાવવા તાવડા મંડાયા હતા.
હવેલીઓમાં રંગોની છોળો વચ્ચે ફાગણના ફાગ ખેલાયા
શહેરની નંદાલય હવેલીમાં વલ્લભકુળના સાનિધ્યમાં ત્રણ ખેલ દરમિયાન શ્રધ્ધાળુઓએ રંગોની છોળો વચ્ચે ફાગણના ફાગ ખેલ્યા હતા. હોરી રે રસીયા, બરજોરી રે રસિયા, આજ બિરજ મે હૈ હોરી રસિયાના કર્ણપ્રિય ગાનની રમઝટ વચ્ચે વૈષ્ણવાચાર્યો દ્વારા અબીલ, ગુલાલ અને કેસુડા મિશ્રિત જળ ભાવિકોને રંગે રમાડયા હતા. આ વેળા વ્રજભૂમિની ભાવિકોએ અનુભૂતિ કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.આ ઉપરાંત તમામ હવેલીઓમાં પણ ટ્રસ્ટીઓ, ધાર્મિક સંગઠનોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ફાગણના ફાગ ખેલ્યા હતા.




