Gujarat

ભાવનગરમાં કોન્ટ્રાકટ પ્રથાના કારણે સફાઈ કામદારોને અન્યાય

By GS Team
13 Nov 20212 mins read
This article was originally published on 13 Nov 2021
ભાવનગરમાં કોન્ટ્રાકટ પ્રથાના કારણે સફાઈ કામદારોને અન્યાય

- મહાપાલિકામાં કાયમી સફાઈ કામદારોની અછત 

- કેટલાક સફાઈ કામદારો પાસે કલાર્ક, સિપાઈની કામગીરી કરાવાય છે છતા બઢતી અપાતી નથી 

ભાવનગર : ભાવનગરમાં કોન્ટ્રાકટ પ્રથાના કારણે સફાઈ કામદારોને અન્યાય થય રહ્યો છે અને કાયમી સફાઈ કામદારોની અછત છે છતા ભરતી કરવામાં આવતી નથી. કેટલાક સફાઈ કામદારો પાસે અન્ય કામગીરી કરાવાય છે પરંતુ બઢતી આપવામાં આવતી નથી. સરકારી તંત્ર દ્વારા સફાઈ કામદારોનુ શોષણ કરવામાં આવી રહ્યુ છે તેથી સફાઈ કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

સફાઈ કામદારોના પડતર પ્રશ્ને ભાવનગર મહાપાલિકાના કમિશનરને વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ તેમ છતા કેટલાક પ્રશ્નો હજુ હલ થયા નથી, જેમાં સફાઈનો કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવી અને સફાઈ કામદારોની કાયમી ભરતી કરવી. ચાલુ નોકરીએ અવસાન પામેલ તેમજ નિવૃત થયેલ કર્મચારીના પરિવારોને રહેમરાહે નોકરી આપવી. ભાવનગર મહાપાલિકાનો વિસ્તાર તેમજ વસતી વધી છે પરંતુ પુરતા કાયમી સફાઈ કામદારો નથી તો તેની કાયમી ભરતી કરવી જોઈએ. વર્ષોથી સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારો પાસેથી કલાર્ક, સિપાઈ, ડ્રાઈવરની કામગીરી કરાવવામાં આવતી હોય છે પરંતુ સફાઈ કામદારોને બઢતી આપવામાં આવતી નથી. 

અમદાવાદ શહેરમાં મહાપાલિકા દ્વારા ૬ હજાર સફાઈ કર્મચારીને કામ ઉપર લેવામાં આવેલ છે તો તેમાં વારસદાર, ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના પરિવારજનોને પણ નોકરી ઉપર લેવામાં આવેલ છે તો ભાવનગર મહાપાલિકામાં સફાઈ કામદારોની કેમ આજદિન સુધી કાયમી ભરતી કરવામાં આવતી નથી ? તેવા સવાલો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના પૂર્વ વાઈસ ચેરમેન રાજુભાઈએ ઉઠાવેલ છે અને તત્કાલ ભરતી કરવા માંગણી કરી છે.