Gujarat

ગુરૂનાનકજીના જન્મજયંતીની કેક કાપી આતશબાજી સાથે ઉજવણી

By GS Team
19 Nov 20211 min read
This article was originally published on 19 Nov 2021
ગુરૂનાનકજીના જન્મજયંતીની કેક કાપી આતશબાજી સાથે ઉજવણી

- શહેર-જિલ્લામાં ધામધૂમથી શોભાયાત્રા નીકળી

- 10 હજારથી વધુ લોકોએ લંગર પ્રસાદનો લાભ લીધો, ગુરૂદ્વારાઓમાં મધરાત્રિ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ગુરૂનાનકજીના ૫૫૨મા પ્રકાશપર્વની ધામધૂમ અને ભક્તિભાવભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂનાનક સાહેબની જન્મજયંતી નિમિત્તે આતશબાજી અને કેક કાપવામાં આવ્યું હતું.

સિંધી સમાજ અને શીખ સમાજ દ્વારા આજે કારતક પૂનમના દિવસે પરંપરાગત રીતે ગુરૂનાનક સાહેબના ૫૫૨મા પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ હતી. શહેરના સિંધુનગર, રસાલા કેમ્પ, આનંદનગર, ગાયત્રીનગર, જવાહર મેદાન સામે, નારી ચોકડી સહિતના વિસ્તારોમાં ગુરૂનાનક જયંતી નિમિત્તે મધરાત્રિથી અસાદિવાસર, ગુરૂગ્રંથ સાહેબનો પ્રકાશ, ભજન-કિર્તન, અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ, પ્રભાત ફેરી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આજે બપોરના સમયે શહેરમાં પરંપરાગત રીતે નગર કિર્તન (શોભાયાત્રા) રંગેચંગે કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સિંધુનગર, ઘોઘાસર્કલ, આતાભાઈ ચોક વગેરે વિસ્તારમાં ફરી હતી. મોડી રાત્રે ૧-૨૦ કલાકે અખંડ પાઠનો ભોગ સાહેબ, ભજન-કિર્તન અને બાદમાં કેક કાપીને આતશબાજી સાથે ગુરૂનાનક સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ગુરૂનાનક સાહેબના પ્રકાશ પર્વે લંગર પ્રસાદનું આયોજન કરાયું હતું. જેનો તમામ સમાજ-જ્ઞાાતિના ૧૦ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.