Gujarat

ભાવનગર મનપાને 1 દિવસમાં મિલ્કત વેરાની 16 લાખની આવક

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
ભાવનગર મનપાને 1 દિવસમાં મિલ્કત વેરાની 16 લાખની આવક

- સમયસર મિલ્કત વેરો નહી ભરતા બાકીદારો સામે મનપાની કાર્યવાહી

- વેરો બાકી હોવાથી કેટલીક મિલ્કતને સીલ માર્યા, 110  મિલ્કત ધારકે વેરો ભર્યો 

ભાવનગર : બાકી મિલ્કત વેરો વસુલવા માટે ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આજે સોમવારે મનપાની રીકવરી ટીમે મિલ્કત વેરો નહી ભારનાર ઘણા મિલ્કત ધારકોની મિલ્કતને સીલ માર્યા હતા, જયારે રીકવરી ટીમ સીલ મારવા જતા કેટલાક મિલ્કત ધારકોએ સ્થળ પર જ મિલ્કત વેરો ભર્યો હતો. સીલ મારવાની કામગીરીના પગલે લોકો ફટાફટ વેરો ભરવા લાગ્યા છે. 

ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા આજે સોમવારે રીકવરી ટીમોએ કામગીરી હાથ ધરી હતી અને મિલ્કત વેરો નહી ભરનારની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી. મનપાની રીકવરી ટીમ આજે આશરે ર૦૦થી વધુ મિલ્કત ધારકનુ લીસ્ટ લઈ જપ્તી કામગીરી માટે નિકળી હતી, જેમાં ૩૦થી વધુ મિલ્કતને સીલ મારવામાં આવ્યા હતા, જયારે ૧૧૦ મિલ્કત ધારકે સ્થળ પર જ રૂ. ૧૬ લાખનો વેરો ભર્યો હતો. મહાપાલિકાએ મિલ્કતને સીલ મારવાની કામગીરી હાથ ધરતા મિલ્કત વેરો નથી ભર્યો તેવા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મનપાએ મિલ્કતોને સીલ કરતા મિલ્કત ધારકોમાં કચવાટ ફેલાયો હતો અને કેટલાક મિલ્કત ધારકોએ લાગતા વળગતાઓની ભલામણો પણ કરી હતી. 

મનપાએ મિલ્કત જપ્તીની કામગીરી શરૂ કરતા આજે મહાપાલિકાની કેશબારીએ તેમજ ઓનલાઈન પણ કેટલાક મિલ્કત ધારકોએ વેરો ભર્યો હતો. આજે એક જ દિવસમાં મનપાને મિલ્કત વેરાની કુલ રૂ. ૧૬ લાખની આવક થઈ હોવાનુ જાણવા મળેલ છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ મિલ્કત જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે બાકીદારોએ વેરો ભરવો જરૂરી છે.