Gujarat

જિલ્લાના પોળો પ્રવાસન સ્થળે પાંચ દિવસમાં 1 લાખથી વધુ પર્યટકો ઉમટયા

By GS Team
10 Nov 20211 min read
This article was originally published on 10 Nov 2021
જિલ્લાના પોળો પ્રવાસન સ્થળે પાંચ દિવસમાં 1 લાખથી વધુ પર્યટકો ઉમટયા

હિંમતનગર, વિજયનગર, તા. 9

લાભપાંચમથી જિલ્લામાં ધંધા-રોજગાર ફરી ધમધમતા થયા છે તે પૂર્વે દિવાળી વેકેશનના કારણે ભાઈબીજ થી ચોથ સુધીના પાંચ દિવસ દરમિયાન જિલ્લાના પોળો પ્રવાસન સ્થળે એક લાખથી વધુ માનવ મહેરામણ ઉમટયો હતો. રોજગારીથી સ્થાનિક વેપાર-ધંધાને નવું ઝોમ મળ્યું છે. 

કોરોનાના કારણે અગાઉના દિવસોમાં વારંવાર પ્રવાસધામ, પોળો વિસ્તારમાં પ્રવાસીઓની મુલાકાત ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. વારંવારના પ્રતિબંધ છતાં ૧ થી ર દિવસના પ્રવાસ માટે વિજયનગર પોળો વિસ્તાર રાજ્યના પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમાંય ટેન્ટ સીટીની શરુઆત પછી રાજ્યના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ પોળોનું સૌંદર્ય માણવા માટે આવતા હોય છે. પોળોનું સંક્રમણ કાબુમાં આવ્યું અને ત્યાર પછી શનિવાર થી સોમવાર સુધીના દિવસે દરમ્યાન પોળો વિસ્તાર પ્રવાસીઓના આગમનથી ઉભરાયો હતો. ટ્રાફીકની ભારે અવ્યવસ્થાના કારણે પ્રવાસીઓ હૈયાવરાળ ઠાલવતા જોવા મળ્યા છે તેમ છતાં આ વિસ્તારની લીલીછમ વનરાજી અને સદીઓ પુરાણા ખંડેર મંદિરો આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા રહ્યા છે. કેટલાક પ્રકૃતિ પ્રેમીઓએ દૂર દૂર જંગલ વિસ્તારમાં જઈને વન ભોજન સહિતના કાર્યક્રમો પણ મિત્રો સાથે યોજ્યાનું જાણવા મળ્યું છે.

ચોમાસા પછી પોળો વિસ્તાર લીલીછમ વનરાજીના કારણે સેમી કાશ્મીર જેવું દેખાતાં અનેક પ્રકૃતિ પ્રેમીઓએ કલાકો સુધી પ્રકૃતિના નજારાને પોતાની નજરોમાં સમાવવાના પ્રયાસ કર્યા હતા.