હિંમતનગરમાં 8 વર્ષની બાળકી, વિદ્યાર્થિની, શિક્ષક સહિત દસ વ્યકિત કોરોના પોઝિટિવ

હિંમતનગર તા. 5
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ ૧૦ વ્યકિતઓ કોરોના સંક્રમિત
થતા તેમાના કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં તેમજ અન્ય દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર
મેળવી રહ્યા છે. જેમાં હિંમતનગરમાં વિદેશથી આવેલા એક બાળકી અને સ્કુલની વિદ્યાર્થીની
સહિત આઠ વ્યકિતઓ કોરોના સંક્રમિત થતા દિવસેને દિવસે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં
ચિંતા જનક વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રાંતિજ પથકમાં પણ એક મહિલા અને એક પુરૃષ
દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં પુનઃ ફફડાટ વ્યાપ્યો છે. જ્યારે અરવલ્લી
જિલ્લામાં કોરોનાના નવા છ કેસ નોંધાયા છે.
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં બુધવારે ૧૦ વ્યકિતઓના
કોરોના રિપોર્ટ પાઝિટિવ આવતા આ તમામ વ્યકિતઓ ખાનગી હોસ્પિટલો તેમજ હોમ આઈસોલેશન
હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
એપેડેમીક ઓફિસર ર્ડા.મુકેશ કાપડીયાએ જણાવ્યુ હતુ કે એકાદ
મહિના અગાઉ અમેરીકાથી આવેલા હિંમતનગરના એક પરિવારની આઠ વર્ષીય બાળકી કોરોના
સંક્રમીત થતા તેમજ ૧૬ વર્ષીય વિદ્યાર્થીનીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા બન્ને
દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. આ ઉપરાંત હિંમતનગરની નંદનવન
સોસાયટીમાં ૩૭ વર્ષીય પુરૃષ, પોલોગ્રાઉન્ડમાં ૩૫ વર્ષીય પુરૃષ, સહકારી જીન વિસ્તારમાં ૩૮ વર્ષીય પુરૃષ, મણીભવન નજીક
૪૪ વર્ષીય પુરૃષ તેમજ મોતીપુરા વિસ્તારમાં ૬૦ વર્ષીય પુરૃષ તથા તાલુકાના ગઢોડા
ગામમાં ૪૫ વર્ષીય પુરૃષ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હિંમતનગરના
ગઢોડામાં રહેતા પ્રા. શિક્ષક સંક્રમિત થતાં શાળાના સ્ટાફ અને બાળકોની આરોગ્યની
ચકાસણી કરવાની સુચના આપવામાં આવી છે.
હિંમતનગર શહેરમાં છેલ્લા ૧૧ દિવસમાં ૩૦ વ્યકિતઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮
વ્યકિતઓ મળી કુલ-૩૮ વ્યકિતઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
જયારે પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામમાં ૨૯ વર્ષીય મહિલા અને
પ્રાંતિજમાં ૪૪ વર્ષીય પુરૃષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જેમાં ઘડકણની યુવતીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમજ
પ્રાંતિજના પુરૃષને હોમ આઈસોલેશનમાં સારવાર થઈ રહી છે. જિલ્લામાં કુલ-૩૬ એકિટવ
કેસો પૈકી ૨૫ એકિટવ કેસો શહેરી વિસ્તારમાં અને ૧૧ એકિટવ કેસો ગ્રામ્ય વિસ્તારના
નોંધાયા છે. સમગ્ર જિલ્લાભરમાં સૌથી વધુ
લોકો હિંમતનગરમાં કોરોના સંક્રમીત થતા શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો
અને તેમના વાલીઓએ સતર્કતા દાખવવાની જરૃરીયાત દેખાઈ રહી છે કારણ કે ત્રીજી લહેરની
સંભાવના વચ્ચે હિંમતનગર શહેર હોટસ્પોટ બની રહ્યુ છે ત્યારે માસ્ક,સોશીયલ
ડીસ્ટન્સ અને જાગૃતતા હવે અનિવાર્ય બન્યુ છે.




