બંને જિલ્લામાં તા. 18 થી 22 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

હિંમતનગર,
બાયડ,તા. 17
ઉત્તર ગુજરાતના ખેડુતો માટે માઠા સમાચાર છે કે, ફરીથી આગામી ૧૮ મી
થી ૨૨ જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના
કારણે આ ચાર દિવસ દરમિયાન ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે અને લઘુતમ તાપમાન ઉંચકાઈ
શકે છે. આ સિવાય અનેક વિસ્તારોમાં અડધાથી એક ઈંચ સુધીનો કમોસમી વરસાદ પડી શકે છે અને
સાથે-સાથે ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીના
પગલે ઉત્તર ગુજરાતના ખેડુતોના માથે ફરીથી માવઠાનો માર પડી શકે છે. હજુ તો ગત ૬ ઠ્ઠી
જાન્યુઆરી માવઠું થયું હતું તેની શાહી સુકાઈ નથી. ત્યાં ફરીથી માવઠાની આગાહીએ ખેડુતોના
જીવ અધ્ધર કરી દિધા છે.
હાલ અનેક વિસ્તારોમાં બટાકા કાઢવાની સિઝન શરૂ થઈ છે ત્યારે માવઠાને
લઈ આવા ખેડુતોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આગામી ૧૮ મી થી ૨૨ મી જાન્યુઆરી
દરમિયાન મોસમ કરવટ બદલી શકે છે. વેસ્ટર્ન ડિસ્પર્બન્સના કારણે હવામાનમાં પલટો આવી શકે
છે અને જેના કારણે મહેસાણા થી લઈ પાટણ,
બનાસકાંઠા, સાબરકાંઠા
અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે. અગાઉ છઠ્ઠી જાન્યુઆરીએ મોસમે કરવટ બદલી હતી
અને સાબરકાંઠા તેમજ અરવલ્લીના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. ઉત્તર
ગુજરાતમાં હાલ ઘઉ, જીરૂ, વરીયાળી, ચણા, ઈસબગુલ, રાયડો, શાકભાજી, બટાકા સહિતના પાકોનું
વાવેતર થયેલું છે અને હવે માવઠાની આગાહીના પગલે રવી પાકમાં નુકશાનનું જોખમ તોળાઈ રહ્યું
છે. શિયાળાની સિઝનમાં અગાઉ ત્રણવાર માવઠાં થઈ ચુકયાં છે અને હવે ચોથા માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને લઈ ખેડુતોમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું
છે. ચાર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવા ઉપરાંત ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે
છે.
વાઈરલ બિમારીએ માથું ઉંચકશે
સતત ભેજવાળા અને વાદળછાયા વાતાવરણના કારણે વાઈરલ બિમારીઓ માથું
ઉંચકી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે સતત ભેજવાળા હવામાનના કારણે શરદી, ઉધરસ થી લઈ તાવની
બિમારીઓ વધી શકે છે. આ સિવાય જે લોકો અસ્થમાની બિમારીથી પીડાઈ રહ્યા છે તેઓની બિમારી
પણ વધી શકે છે. આ સિવાયની બિમારીના દર્દીઓની મુશ્કેલી પણ વધી શકે છે.
શિયાળાની સિઝનમાં લગલગાટ ચોથું માવઠું
શિયાળાની સિઝન પુરબહારમાં જામી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા
ફરીથી ૧૮ મી જાન્યુઆરી માવઠાની આગાહી કરાઈ છે. ચાલુ વર્ષે શિયાળાની સિઝનમાં સતત ચોથું
માવઠું થવા જઈ રહ્યું છે. અગાઉ છઠ્ઠી જાન્યુઆરીએ અને એ પહેલા ડીસેમ્બર મહિનામાં જ સતત
બે વાર માવઠાં થયા હતા. સતત માવઠાના કારણે ખેડુતોને હાલત કફોડી બની રહી છે અને રવી
પાકમાં સત નુકશાન થઈ રહ્યું છે.
કયા તાલુકામાં માવઠું વરસવાની આગાહી..
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.રર જાન્યુઆરીના રોજ કમોસમી
માવઠું વરસવાની આગાહી છે જેમાં વડાલી,
તલોદ, માલપુર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ધનસુરા, ભિલોડા, વિજયનગર, મેઘરજ, ઈડર, પોશીના અને મોડાસા
તાલુકામાં માવઠું વરસી શકે છે.




