Gujarat

સાબરકાંઠામાં કોરોનાના નવા 85 કેસ : હિંમતનગરમાં આધેડનું મોત

By GS Team
22 Jan 20222 mins read
This article was originally published on 22 Jan 2022
સાબરકાંઠામાં કોરોનાના નવા 85 કેસ : હિંમતનગરમાં આધેડનું મોત

હિંમતનગર તા.  21

સાબરકાંઠા જિલ્લાના હોટસ્પોટ ગણાતા હિંમતનગર શહેરમાં કોરોના સંક્રમિત થયેલા ૧ વૃધ્ધનું શુક્રવારે મોત થયુ હતુ. જયારે શુક્રવારે હિંમતનગર પંથકમાં સૌથી વધુ ૫૪ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં શહેરના ૪૨ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન રહી સારવાર મેળવી રહ્યા છે. જયારે સપ્તાહમાં ત્રણ વ્યકિતના મોત નિપજ્યા છે. દિન પ્રતિદિન જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા એકિટવ કેસોનો આંક પણ ૩૩૩ પર પહોંચવા પામ્યો છે. 

હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૬૫ વર્ષીય વૃધ્ધનુ શુક્રવારે મોત થયુ હતુ. શુક્રવારે જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝીટીવના કેસો હિંમતનગર પંથકમાં નોંધાયા છે. જેમાં શહેરમાં ૪૨ અને ગ્રામ્ય વિસ્તારના ૧૨ મળી ૫૪ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ૨૦ મહિલા અને ૩૪ પુરૃષોનો સમાવેશ થાય છે. જયારે ઈડરમાં કોરોના પોઝીટીવના કુલ ૨૩ કેસો નોંધાયા છે. જેમાં શુક્રવારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ દર્દીઓ અને ઈડર શહેરમાં ૩ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જેમાં ૯ મહિલા અને ૧૪ પુરૃષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાંતિજ શહેરમાં ૬ દર્દીઓ કોરોના સંક્રમીત બન્યા છે. જેમાં ૨ મહિલા અને ૪ પુરૃષનો સમાવેશ થાય છે.સાબરકાંઠા જિલ્લામાં કોરોના રોગચાળો હવે દિન પ્રતિદિન શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વકરતો જાય છે. તલોદ તાલુકામાં પણ રણાસણ ખાતે ૧ પુરૃષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેવી જ રીતે વડાલીના હાથરવામાં પણ એક મહિલા દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્રીજી લહેરની શરૃઆતમાં જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થતા જિલ્લામાં એકિટવ કેસોનો આંક ૩૩૩ પર પહોંચી ગયો છે. જેમાં શહેરી વિસ્તારમાં ૧૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૭ કેસો પોઝીટીવ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૫૭ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા છે. જિલ્લામાં કુલ ૭,૮૪૨ પોઝીટીવ દર્દીઓ પૈકી ૭,૩૫૨ દર્દીઓ સારવાર મેળવ્યા બાદ ડીસ્ચાર્જ થયા છે.