Relationship

Valentine’s Day special : ચીનના કારણે થયું હતું રતન ટાટાનું બ્રેકઅપ, જાણો તેમની લવ સ્ટોરી વિશે...

By GS Team
13 Feb 20214 mins read
This article was originally published on 13 Feb 2021
Valentine’s Day special : ચીનના કારણે થયું હતું રતન ટાટાનું બ્રેકઅપ, જાણો તેમની લવ સ્ટોરી વિશે...

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર 

ટાટા સન્સના ચેરમેન રતન ટાટા દરેક ઉંમરના લોકોના આદર્શ છે. રતન ટાટાએ લગ્ન નથી કર્યા તે વાત તો બધા જાણે છે પરંતુ શું તમે જાણો છો કે તેમની એક એવી લવસ્ટોરી પણ રહી જે અધૂરી રહી ગઇ છે.. રતન ટાટાએ એક ઈન્ટરવ્યૂમાં તેમની આ અધૂરી લવસ્ટોરી વિશે ઉલ્લેખ કર્યો હતો..  

તેમના બ્રેકઅપનું કારણ હતું ચીન અને વર્ષ 1962ની લડાઇ તેમની રિલેશનશિપ તૂટવા પાછળનું કારણ બની હતી. રતન ટાટાના જીવને તેમના માતા-પિતાના છૂટાછેડા બાદ એક નવો વળાંક લીધો હતો. તેમની પર્સનલ લાઇફમાં તેમના દાદીનો પ્રભાવ રહ્યો હતો. 

માતા-પિતાના છૂટાછેડા થયા બાદ મુશ્કેલીઓ વધી

રતન ટાટાએ ગત વર્ષે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું તેમના દાદી પાસેથી તેમણે જીવનના આદર્શ પ્રાપ્ત કર્યા છે જેમની સાથે તેમણે કેટલીય અમૂલ્ય ક્ષણો વિતાવી છે. રતન ટાટાના શબ્દોમાં, 'મારું બાળપણ ઘણુ ખુશહાલ હતું પરંતુ જેમ-જેમ મારો ભાઇ અને હું મોટા થઇ રહ્યા હતા, અમારે માતા-પિતાના ડિવોર્સના કારણે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ અને વ્યક્તિગત અગવડતાનો સામનો કરવો પડતો હતો. આજકાલની જેમ તે દિવસોમાં છૂટાછેડા સામાન્ય વાત ન હતી. પરંતુ અમારી દાદીએ અમારું ભરપોષણ કરીને અમારો ઉછેર કર્યો છે.'

તેમણે કહ્યું, 'તરત જ જ્યારે મારી માતાએ બીજા લગ્ન કરી લીધા ત્યારે શાળામાં છોકરાઓએ અમારા વિશે અલગ-અલગ પ્રકારની વાતો કરવાનું શરૂ કરી દીધું હતું.' ટાટાના શબ્દોમાં, 'એવા શબ્દો જે ઘણા આક્રમક હતા અમારે સાંભળવા પડતા હતા. પરંતુ અમારી દાદીએ અમને શિખવાડ્યું છે કે કેવી રીતે અમારે પોતાનું સન્માન જાળવી રાખવાનું છે, એક એવો આદર્શ જે આજ સુધી મારી સાથે છે.'

દાદીએ જીવન જીવવાની શીખ આપી

તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે આ પરિસ્થિતિઓથી દૂર રહેવાનું છે નહીં તો અમે તેના વિરુદ્ધ લડાઇ પર ઉતરી આવતા. તેમણે પોતાની દાદી પાસેથી નૈતિકતા અને સારું વર્તન જેવી બાબતો શીખી છે. ટાટાએ ત્યારબાદ દ્વિતીય વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ પોતાના ઈન્ટરવ્યૂમાં કર્યો. 

તેમણે કહ્યું હતું, 'મને આજ સુધી યાદ છે કે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી મારી દાદી મને અને મારા ભાઇને રજાઓ માટે લંડન લઇને ગયા હતા. અહીં તેમણે અમને નૈતિકતા જે પાઠ શિખવ્યો હતો તે આજ સુધી મારી સાથે છે.' તેમના દાદી મોટાભાગે કહેતા હતા, 'આવું ન કહેશો' અથવા તો 'તે વિશે ચુપ રહો' અને ત્યાંથી તેમને જાણવા મળ્યું કે સન્માન બધાથી ઉપર છે અને આ જ વાત અમારા મગજમાં વસી ગઇ છે. 

ચીનના કારણે બ્રેકઅપ થયું

ટાટાએ પોતાના ઈન્ટરવ્યૂમાં પ્રેમ અને લગ્ન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ભારત-ચીન યુદ્ધના કારણે તેમની રિલેશનશિપ તૂટી ગઇ. તેમણે કહ્યું, 'કૉલેજ પછી લૉસ એન્જિલ્સની એક ફર્મમાં આર્કિટેક્ચરની નોકરી કરવા લાગ્યા. ત્યાં તેમણે બે વર્ષ સુધી કામ કર્યુ. આ ખૂબ જ સારો સમય હતો.'

તેમણે આગળ કહ્યુ, 'મારી પાસે મારી કાર હતી અને મને પોતાની જોબથી ઘણો લગાવ હતો. લૉસ એન્જિલ્સમાં જ મને પહેલીવાર પ્રેમ થયો અને હું તેની સાથે લગ્ન કરવાનો જ હતો. પરંતુ તે સમયે મેં નિર્ણય કર્યો હતો કે હું થોડાક સમય માટે ઈન્ડિયા આવુ કારણ કે હું ઘણા સમયથી દાદીથી દૂર હતો અને સાત વર્ષોથી તેમની તબિયત પણ ઘણી ખરાબ હતી.'

ટાટાએ આગળ જણાવ્યું, 'એટલા માટે હું તેમની પાસે પરત આવી ગયો અને મને હતું કે હું જે વ્યક્તિને પ્રેમ કરું છું તે મારી સાથે લગ્ન કરવા ઇચ્છે અને ભારત આવશે. પરંતુ વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધના કારણે તેના માતા-પિતા આ લગ્ન માટે તૈયાર ન થયા. તેઓ ઇચ્છતા ન હતા કે તેમની દિકરી લવ મેરેજ કરે અને આ કારણથી તે રિલેશનશિપ ખતમ થઇ ગઇ.'

પિતાની ઇચ્છા એન્જીનિયર બનાવવાની હતી

ટાટાએ કહ્યુ કે કહેવું ખૂબ જ મુશ્કેલ છે કોણ સાચું હતું અથવા તો કોણ ખોટું. તેમણે જણાવ્યું હતું, 'હું વાયોલિન વગાડવા ઇચ્છતો હતો, મારા પિતાની જીદ્દ હતી કે હું પ્યાનો શીખું, હું અમેરિકામાં કૉલેજ જવા ઇચ્છતો હતો પરંતુ તેમણે કહ્યું યૂકે. હું આર્કિટેક્ટ બનવા ઇચ્છતો હતો પરંતુ તેમની ઇચ્છા હતી કે હું એક એન્જીનિયર બનું.'

ટાટાની માનીએ તો જો તેમના દાદી ન હોતા તો કદાચ તેઓ અમેરિકામાં કૉરનેલ યૂનિવર્સિટી ન જઇ શકતા. તેમના કારણે જ તેમણે મિકેનિકલ એન્જીનિયરિંગના અભ્યાસ માટે અહીં એડમિશન લઇ શક્યા હતા. ત્યારબાદ આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો. તેમના પિતા ખૂબ જ દુખી હતા પરંતુ તેઓ અંતમાં એક આત્મનિર્ભર વ્યક્તિ હતા અને દાદીએ તેમને શીખવ્યું હતુ કે કેવી રીતે પોતાની વાત રજૂ કરવા માટે હિંમત હોવી જોઇએ.