મોરબીમાં આવેલું પૌરાણિક ‘રફાળેશ્વર મહાદેવ’નું શિવાલય, બ્રહ્માજીએ લક્ષ્મીજીને રિઝવવા અહીં તપ કર્યું; જાણો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rafaleshwar Mahadev: સિરામિક સિટી તરીકે જાણીતા મોરબી શહેરમાં અનેક પૌરાણિક મંદિરો અને શિવાલયો આવેલા છે. તેમાંથી એક અતિપૌરાણિક શિવાલય એટલે ‘રફાળેશ્વર મહાદેવ’નું મંદિર. એવી માન્યતા છે કે, અહીં બ્રહ્માજી સહિત અનેક ઋષિઓ અને રાજાઓએ તપ કર્યું છે. આવો જાણીએ તેની રોચક ગાથા…

શું છે પૌરાણિક ગાથા?
મોરબીથી આશરે 10 કિમીના અંતરે આવેલું છે રફાળેશ્વર મહાદેવનું મંદિર. આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રીરમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમના પર લક્ષ્મીજીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય એક લોકવાયકા પ્રમાણે, આ જગ્યાએ રંભ્ય નામના મુનિએ મહાદેવજીનું તપ કરતા ‘રંભયેશ્વર’ નામથી મહાદેવજી પ્રસિદ્ધ થયા હતા. ત્રીજી લોકવાયકા પ્રમાણે, રિપુપાલ નામના રાજકુમારે પણ આ જ ક્ષેત્રમાં રંભ્ય મુનિના આદેશથી મહાદેવનું તપ કર્યું હતું અને ત્યારે પણ મહાદેવજી તેના પર પ્રસન્ન થયા હતા.

મહારાજાએ તે સમયે લાખ રૂપિયાના ખર્ચે મંદિર બંધાવ્યું
ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાડેશ્વર નામથી ઓળખાતી હતી. હજારો વર્ષોં બાદ અપભ્રંશ થઈને હવે આ જગ્યા ‘રફાળેશ્વર’ તરીકે ઓળખાય છે. આ મંદિરના વિકાસ પાછળ મોરબીના મહારાજા લખધીરજીનો સિંહફાળો છે. તે સમયે ધાર્મિકક્રિયાઓ માટે મંદિરની જગ્યાઓ નાની પડતા તે સમયે આશરે રૂપિયા એક લાખના ખર્ચે તેમણે અહીં ભવ્ય મંદિર બંધાવ્યું હતું.

શું છે મંદિરનું મહાત્મય?
આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્વ કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે, તેવી માન્યતા છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં લોકમેળો ભરાય છે. રફાળેશ્વરના મંદિરની બાજુમાં 40x40નો વિશાળ કુંડ આવેલો છે. જેમાં સ્નાન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પિતૃતપર્ણનું અનેરું મહત્વ છે.




