જાબાલી ઋષિની ઉત્કંઠાથી પ્રગટ થયા મહાદેવ, જમીનની અંદર આવેલું છે ‘ઊંટના પગના તળિયા’ જેવા આકારનું શિવલિંગ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Utkantheshwar Mahadev: ખેડાના કપડવંજ ગામથી 17 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે 2000 વર્ષ જૂનું એક શિવાલય આવેલું છે. જ્યાં એક ઋષિ મહાદેવનું આહ્વાન કરે છે અને શિવજી ત્યાં પ્રગટે છે. ત્યારબાદ સ્વયંભૂ શિવલિંગ રૂપે ત્યાં હંમેશા માટે બિરાજમાન થઈ જાય છે. આ વાત છે ઉત્કંઠેશ્વર મહાદેવની. આવો જાણીએ રોચક કથા…
શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, વાત્રક નદીના કિનારે જાબાલી ઋષિનો આશ્રમ હતો. ત્યારે ઋષિઓએ મહંતોને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમણે જમતા પહેલાં ભગવાન શિવજીના દર્શન કરીને જ ભોજન ગ્રહણ કરશે તેવું જણાવ્યું હતું. ત્યારે ત્યાં આસપાસ કોઈ શિવાલય નહોતું. તેથી જાબાલી ઋષિએ તપ કરીને પોતાની ઉત્કંઠાથી મહાદેવનું આહ્વાન કર્યું.

‘ઊંટડિયા મહાદેવ’ તરીકે પણ જાણીતા
જાબાલી ઋષિના આહ્વાનથી મહાદેવ પ્રગટ થાય છે અને સ્વયંભૂ શિવલિંગ તરીકે સ્થાપિત થાય છે. જાબાલી ઋષિની ઉત્કંઠાથી પ્રગટ થયા હોવાથી આ મહાદેવ ‘ઉત્કંઠેશ્વર મહાદેવ’ તરીકે ઓળખાય છે. આ શિવલિંગનો આકાર ઉંટના પગના તળિયા જેવો હોવાથી ‘ઊંટડિયા મહાદેવ’ તરીકે પણ ઓળખાય છે.

મનોરમ્ય જગ્યાએ આવેલું છે શિવાલય
આ શિવાલયમાં શિવલિંગ જમીનમાં છે. અહીં ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવે છે. પરંતુ શિવલિંગ પર ચડાવેલું જળ અને દૂધ ક્યાં જાય છે તે આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી. વાત્રક નદીના કિનારે આવેલું આ શિવાલય અતિમનોરમ્ય સ્થળ છે. હાલનું શિવાલય ક્યારે બનાવવામાં આવ્યું છે, તે અંગે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી.









