શ્રાવણના બીજા સોમવારે નસવાડીમાં શિવભક્તિનો અનોખો રંગ: નર્મદાના પવિત્ર જળથી કાવડયાત્રા યોજાઈ, શિવમંદિરોમાં 'હર હર મહાદેવ'નો નાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan 2026: પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે (24મી ઓગસ્ટ) છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ નસવાડી ગામના મહાદેવ મંદિરે શિવભક્તોની લાંબી કતારો લાગી હતી. ભોળાનાથના દર્શન અને જળાભિષેક માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નગર 'હર હર મહાદેવ' અને 'જય ભોલેનાથ'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.
મહિલાઓની ભવ્ય કાવડયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની
આ પવિત્ર દિવસે નસવાડીની મહિલાઓ દ્વારા એક વિશેષ અને અનોખી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ રતનપુરા નજીક આવેલી નર્મદા કેનાલે પહોંચી હતી અને ત્યાંથી કાવડમાં પવિત્ર જળ ભરીને પગપાળા યાત્રા રૂપે નસવાડીના શિવમંદિરે પહોંચી હતી. મંદિરે પહોંચીને કાવડમાં લાવેલા નર્મદાજીના પવિત્ર જળ વડે ભોલેનાથ પર જળાભિષેક કરવામાં આવ્યો હતો.
સમગ્ર વાતાવરણ શિવમય બન્યું
એક તરફ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચના અને દર્શન માટે લાઈનો લાગી હતી, તો બીજી તરફ શ્રદ્ધાળુઓએ કાવડયાત્રા યોજીને પોતાની અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. શ્રાવણના બીજા સોમવારે ધાર્મિક કવાયતો અને દર્શન થકી સમગ્ર વિસ્તારમાં શિવમય વાતાવરણ સર્જાયું હતું. ભક્તોએ મહાદેવની આરતી કરી પરિવાર અને સમાજની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.









