બાઈક ઓવરટેક કરવા મામલે યુવકને મારકૂટ કરાતાં મોત, હત્યાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધોરાજી : ધોરાજી-જૂનાગઢ રોડ પર મોટરસાયકલ ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક યુવાનને ઢોર માર મારવામાં આવતાં મોત થયાનો આક્ષેપ થતાં ધોરાજીમાં ચકચાર મચી છે. મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સોએ તેના ભાઈના માથાના ભાગે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરી પોલીસ પાસે ન્યાયની માગણી કરતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડીને પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતો જયેશ વિંઝુડા તેના ભાઈ રાજ વિંઝુડા સાથે મોટરસાયકલ પર ધોરાજીથી જૂનાગઢ તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન તોરણીયા પાટિયા નજીક મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે કોઈ અજાણ્યા વાહનચાલક સાથે તકરાર થઈ હતી, જેથી એ શખ્સોએ જયેશને માર માર્યો હોવાનો પરિવારજનોનો દાવો છે. આ મારામારીમાં જયેશના માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું તેના ભાઈ રાજે જણાવ્યું હતું.
આ ઘટના જૂનાગઢ તાલુકા પોલીસની હદમાં બની હોવાથી ધોરાજી પોલીસે બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસને જાણ કરી હતી. બીજી તરફ મૃતદેહને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબોની સૂચના બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જો કે, મૃત્યુ મારામારીથી થયું કે અન્ય કોઈ કારણસર તે પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે, તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.




