લિવ ઇનમાં રહેતી મહિલાને પૂર્વ પતિએ અસ્ત્રાના ઘા ઝીંકી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: યુનિવર્સિટી રોડ પર રૂડા-૨ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી ચંદ્રિકાબેન દુધરેજીયા (ઉ.વ.૩૪) ઉપર ગઇકાલે રાત્રે તેના પૂર્વ પતિ કાનદાસ દેસાણી (રહે. જીજાબાઇ ટાઉનશીપ, રૈયા રોડ)એ અસ્ત્રા વડે હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
ફરિયાદમાં ચંદ્રિકાબેને જણાવ્યું છે કે, તેના અગાઉ બે લગ્ન થયા હતા. બંનેમાં છુટાછેડા થઇ ગયા હતા. એકાદ માસથી ઓસવાલ નામના ક્રિશ્ચિયન યુવક સાથે લિવ ઇનમાં રહે છે. ગઇકાલે રાત્રે ઓસવાલ માવો ખાવા બહાર ગયા બાદ જેની સાથે બીજા લગ્ન કર્યા હતા તે કાનદાસ રૂમમાં ધસી આવ્યો હતો.
આવીને તેના ગળામાં અસ્ત્રાનો ઘા ઝીંકી દીધો હતો. બીજો ઘા મારવા જતાં તેણે હાથેથી અસ્ત્રો પકડી લીધો હતો. આમ છતાં તેની સાથે મારામારી કરતા ઇજાઓ થઇ હતી. તેણે કાના કેમ મને મારશ તેમ પુછતાં તે મારી જીંદગી બરબાદ કરી નાંખી તેમ કહીં ગાળો ભાંડી ફરીથી મારકુટ કરી હતી. સાથોસાથ આજે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી.
તેણે બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ બોલાવતા તેમાં સિવિલ લઇ જવાઇ હતી. જ્યાં તબીબોએ ગળાના ભાગે સાતથી આઠ અને મોઢા નજીક ચારથી પાંચ ટાકા લીધા હતા. સારવાર મુક્ત થયા બાદ વહેલી સવારે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. ચંદ્રિકાબેને કાનદાસ સાથે લગ્ન કર્યા બાદ છ મહિના પછી જ છુટુ કરી નાંખ્યું હતું.




