Rajkot

90 વ્યક્તિ પાસેથી વ્યાજખોરોએ પડાવી લીધેલો 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવાયો

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલના વાસાવડ ગામના સોહિલ અને ઇરફાન નામના 2 વ્યાજખોરો પાસેથી 90 ભોગ બનનારાઓનો ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ પરત અપાવ્યો. પોલીસે લલીત ટારીયાની ફરિયાદ બાદ તપાસ કરતા આ કાર્યવાહી કરી. સોના-ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજો અને વાહનો સહિતનો મુદ્દામાલ પરત મળતા ભોગ બનનારાઓ ખુશ થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

90 વ્યક્તિ પાસેથી વ્યાજખોરોએ પડાવી લીધેલો 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવાયો

રાજકોટ : ગોંડલના વાસાવડ ગામે રહેતા બે વ્યાજખોર સોહિલ રફીક ઉર્ફે બાબુભાઇ સલાટ (ઉ.વ.૨૬) અને તેના ભાઇ ઇરફાન (ઉ.વ.૨૪)એ ૯૦ ભોગ બનનારાઓ પાસેથી પડાવી લીધેલો ૧ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે પરત અપાવ્યો હતો.
ગોંડલના મોવિયા ગામે રહેતા લલીત ઉર્ફે નિલેશ ટારીયાએ આરોપીઓ પાસેથી રૂા.૪૪ હજાર ૩ ટકા વ્યાજે લીધા હતા. અત્યાર સુધી રૂા.૨૦ હજાર જેટલું વ્યાજ ભરી દીધું હતું. આર્થિક ભીંસ પડતા બધું વ્યાજ નહીં ભરી શકતા આરોપીઓએ તેને ધાક-ધમકી આપી હેરાન કરવાનું શરૂ કરતા સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લલીત ઉર્ફે નિલેશ પાસેથી પડાવી લીધેલા રૂા.૧.૨૦ લાખના ચાંદીના દાગીના કબજે કર્યા હતા.
ત્યાર પછી બંને આરોપીઓએ બીજા ૯૦ જેટલા ભોગ બનનારા પાસેથી પણ મુદ્દામાલ પડાવી લીધાની માહિતી મળતાં પોલીસે કડક વલણ અખત્યાર કર્યું હતું. જેના પગલે આરોપીઓ તમામે-તમામ ભોગ બનનારાઓને તેમનો મુદ્દામાલ પરત આપી દેવા રાજીખુશીથી તૈયાર થઇ ગયા હતા.
આ મુદ્દામાલમાં રૂા.૨૭.૪૮ લાખના ૧૮૦ ગ્રામ સોનાના દાગીના, રૂા.૪૯.૩૧ લાખના ૧૯ કિલો ચાંદીના દાગીના, જમીન-મકાન-પ્લોટના દસ્તાવેજો, વાહનો અને તેની આરસી બૂક મળી રૂા.૨૯ લાખનો મુદ્દામાલ ઉપરાંત છ કોરા ચેકનો સમાવેશ થાય છે. ભોગ બનનારાઓ તેમનો મુદ્દામાલ પરત મળી જતાં ખુશ થઇ ગયા હતા. કેટલાક ભોગ બનનારાઓની આંખમાં આંસુ છલકાઇ ગયા હતા.
ઝડપાયેલા બંને આરોપીઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે. આરોપી સાહિલ સામે વાહન અકસ્માતના બે સહિત કુલ ત્રણ ગુના નોંધાયેલા છે. તે સાથે જ પોલીસે જિલ્લામાં વ્યાજખોરી, લુખ્ખાગીરી, નશીલા પદાર્થો વગેરે અંગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં માહિતી આપવા અનુરોધ કર્યો છે.

  • દેખાડા ખાતર નહીં, ખરા અર્થમાં વ્યાજખોરો સામે કાર્યવાહી
    રાજકોટ : ખાલી દેખાડા ખાતર નહીં પરંતુ ખરા અર્થમાં રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગાઉ સુલતાનપુરમાં વ્યાજખોરોનો ભોગ બનેલા ૧૩૭ પરિવારોને તેમનો મુદ્દામાલ પરત અપાવાયો હતો. ભાયાવદરમાં ભોગ બનનારને પાંચ કરોડની કિંમતની ૧૮ વિઘા જમીન પરત અપાવાઇ હતી. ગોંડલ પંથકમાં પણ ભોગ બનનારને ૧૦ લાખનું સોનું પરત અપાવાયું હતું. આ જ રીતે ભોગ બનનારાઓને તેમની જમીન, પ્લોટના દસ્તાવેજો, વાહનો, આરસી બૂક વગેરે પણ પરત અપાવાયું છે. સુલતાનપુરના કેસમાં આરોપીઓએ એક મહિલાને લગ્ન વખતે પિતાએ આપેલી કાનમાં પહેરવાની બુટ્ટી પડાવી લીધી હતી. રકમ આપવા છતાં આ બુટ્ટી પરત આપતા ન હતા. આખરે બુટ્ટી પરત મળતાં મહિલાની આંખમાં આંસુ આવી ગયા હતા. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષમાં વ્યાજખોરીના ૬૨ ગુના નોંધાયા છે. જેમાં કુલ ૧૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય રીતે વ્યાજખોરીના કિસ્સાઓમાં પોલીસ વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી પડાવી લીધેલો મુદ્દામાલ કબજે કરી તપાસ પુરી કરી નાંખે છે. પરંતુ રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો પાસેથી પોલીસ ફરિયાદીનો જ નહીં પરંતુ અન્ય જેટલા ભોગ બનનારા હોય તેમનો મુદ્દામાલ પણ પરત મેળવી રહી છે.