India

પટણામાં યુવાનો વિફર્યા : મુખ્યમંત્રી આવાસ ઘેરવા પ્રયાસ, ભારે લાઠીચાર્જ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
પટણામાં BPSCની ભરતી પ્રક્રિયામાં સુધારાની માંગ સાથે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. મુખ્યમંત્રી આવાસનો ઘેરાવો કરવા જતા પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. IITમાં પાંચ વર્ષમાં 65 વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુદ્દે કોકરોચ જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શનોની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પટણામાં યુવાનો વિફર્યા : મુખ્યમંત્રી આવાસ ઘેરવા પ્રયાસ, ભારે લાઠીચાર્જ
  • ભરતી પ્રક્રિયામાં સુધારાની માગ સાથે આંદોલન
  • દેશની આઇઆઇટીઓમાં પાંચ વર્ષમાં 65 વિદ્યાર્થીઓની આત્મહત્યા, કોકરોચ જનતા પાર્ટી વિરોધ પ્રદર્શનો કરશે

પટણા : દિલ્હીના જંતરમંતરની જેમ બિહારમાં યુવાનો વિફર્યા છે અને મોટું આંદોલન શરૂ કરી દીધુ છે. રાજધાની પટણામાં ફરી હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. જેને રોકવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો તેમજ વોટર કેનનનો મારો ચલાવાયો હતો. યુવાનો બિહારના મુખ્યમંત્રીના આવાસનો ઘેરાવો કરવા જઇ રહ્યા હતા તેથી વચ્ચે જ તેમને રોકી લેવા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
બિહાર પબ્લિક સર્વિસ કમિશન બીપીએસસીને લઇને તૈયારી કરી રહેલા હજારો યુવાનો ભરતી પ્રક્રિયામાં સુધારાની માગણી સાથે આંદોલન પર ઉતર્યા હતા. રાજધાની પટણામાં એકઠા થયેલા આ યુવાનોએ મુખ્યમંત્રી આવાસ ઘેરાવનું એલાન કર્યુ હતું. પરીક્ષા એક જ તબક્કામાં યોજવાની માગણી સાથે યુવાનો આંદોલન કરી રહ્યા છે, જેમાં મુખ્યત્વે ડાબેરી પક્ષોના યુવા, વિદ્યાર્થી સંગઠનો વધુ પ્રમાણમાં સામેલ છે. આ સંગઠનોમાં એસએફઆઇ, ડીવાયએફઆઇ વગેરેનો સમાવેશ થાય છે. યુવાનો દ્વારા પથ્થરમારો પણ કરાયો હતો.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી આઇઆઇટી દિલ્હી હવે કોકરોચ જનતા પાર્ટીની રડારમાં છે. તાજેતરમાં ૩૧ વર્ષના એક આઇઆઇટીના વિદ્યાર્થીએ સંસ્થાના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. દેશભરની આઇઆઇટીમાં પાંચ વર્ષમાં ૬૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે જ્યારે ત્રણ વર્ષમાં આઇઆઇટી દિલ્હીમાં જ ૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડા કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકા દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે આ સાથે જ વિદ્યાર્થીઓમાં રહેલા સ્ટ્રેસને રોકવા માટે યોગ્ય માળખાનો અભાવ હોવાના દાવા સાથે વિરોધ પ્રદર્શનો કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કેટલાક વરીષ્ઠ વકીલોએ એવી દલીલ કરી હતી કે દિલ્હી પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરાયો હતો તેની તપાસ માટે કમિટી રચવામાં આવી હતી આ કમિટી ફરી રચવામાં આવે.