શું UPI પેમેન્ટ પર લાગશે એક્સ્ટ્રા ચાર્જ? ચર્ચા વિના જ લોકસભામાં પાસ થયેલા નવા બિલની સામાન્ય માણસ પર અસર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Payment and Settlement Systems Act : લોકસભામાં વિપક્ષના ભારે હંગામા વચ્ચે 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ' 2026 પસાર કરી દેવામાં આવ્યું છે. સંસદમાં કોઈ પણ પ્રકારની ચર્ચા વિના જ આ બિલ પસાર થઈ ગયું છે. આ નવા બિલનો મુખ્ય હેતુ વિદેશી રોકાણને આકર્ષવાનો, 'મેડ ઈન ઈન્ડિયા' મિશનને વેગ આપવાનો અને સ્થાનિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ બિલ 'ઈનકમ ટેક્સ એક્ઝેમ્પ્શન ઓર્ડિનન્સ' 2026નું સ્થાન લેશે અને તેમાં 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ' 2007માં પણ મહત્વના સુધારા સામેલ કરવામાં આવ્યા છે.
UPI પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ પણ હાલ કોઈ ચિંતા નહીં
આ બિલમાં UPI અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને એક ખૂબ મોટો ફેરફાર પ્રસ્તાવિત કરાયો છે. બિલમાં 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ' 2007ની કલમ 10Aમાં સુધારાની વાત છે, જેનાથી UPI, ડિજિટલ પેમેન્ટ અને રૂપે કાર્ડ પરનો ઝીરો MDRનો દાયરો સમાપ્ત થઈ શકે છે. ખાસ વાત એ છે કે, UPI પર હાલમાં કોઈ જ ચાર્જ લાગવાનો નથી. ભવિષ્યમાં ક્યારે, કયા પેમેન્ટ પર અને કેટલો ચાર્જ લગાડવો તે તમામ બાબતો માત્ર સરકાર જ નક્કી કરશે. જરૂર પડે ત્યારે જ સરકાર UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાનો અધિકાર પોતાની પાસે રાખશે.
દેશમાં વિદેશી રોકાણ વધારવા માટેનો માસ્ટરપ્લાન
બદલાતા વૈશ્વિક સંજોગો અને ગ્લોબલ ટ્રેડ સપ્લાય ચેઈનમાં આવી રહેલા પરિવર્તનો વચ્ચે ભારતના અનેક ઉદ્યોગોને મોટા રોકાણની જરૂર છે. સરકાર આ બિલ દ્વારા વિદેશી રોકાણકારોને ભારતમાં લાવવા અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વધુ સરળ બનાવવા માંગે છે, જેથી દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જઈ શકાય.
સામાન્ય માણસના ખિસ્સા અને રોજગારી પર અસર
આ નવા બિલથી તમારા ઈનકમ ટેક્સમાં સીધો કોઈ જ ફેરફાર થવાનો નથી, પરંતુ લાંબા ગાળે આ બિલ સામાન્ય નાગરિકો પર સકારાત્મક અસર છોડશે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) ને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણથી મળતા વ્યાજ અને કેપિટલ ગેઈન્સ પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. આ સુધારાથી દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે, જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને દેશના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે.
મેડ ઈન ઈન્ડિયા અને ડાયમંડ સેક્ટર માટે બૂસ્ટર ડોઝ
'મેક ઈન ઈન્ડિયા' મિશન હેઠળ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે ટેક્સ રાહતનો સમયગાળો 5 વર્ષથી વધારીને 15 વર્ષ કરી દેવાયો છે. આ રાહતને કારણે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, પીસી અને સર્વર બનાવતી વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા તરફ આકર્ષાશે. આ ઉપરાંત, વિદેશી ડાયમંડ માઈનિંગ કંપનીઓ અને બ્રોકર્સને વર્ષ 2041 સુધી ટેક્સમાં રાહત આપવામાં આવી છે, જેનાથી ભારતના હીરા ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થશે.









