Tamil Nadu Politics News : કે. અન્નામલાઈ જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમની ગાડી પર BJPનો ઝંડો ન હતો. તેઓ હાલ દિલ્હીમાં છે, જ્યાં તેમણે BJP અધ્યક્ષ નિતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરી છે અને ગૃહ મંત્રીને પણ મળશે. દિલ્હી રવાના થતી વખતે BJP છોડવા અને નવી પાર્ટી બનાવવા અંગે તેમણે જણાવ્યું કે, ‘રાહ જુઓ, બે દિવસ પછી બેસીને વાત કરીશું.' અન્નામલાઈ કે તેમના સમર્થકોએ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ તેમના સમર્થકોએ એવા પોસ્ટરો લગાવ્યો છે, જેનાથી અન્નામલાઈ ભાજપ છોડવાની અટકળોને વધુ વેગ મળ્યો છે. પોસ્ટરોમાં લખાયું છે કે, ‘અમારા નેતા, આવો અને નેતૃત્વ કરો...’
ચૂંટણી બાદ અધ્યક્ષ પદેથી હટાવાયા
અન્નામલાઈ (K Annamalai) 2011 બેચના IPS અધિકારી રહી ચૂક્યા છે. તમિલનાડુ BJPના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવેલા અન્નામલાઈ 2021ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણી હારી ગયા હતા, જ્યારે 2026ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર પણ ન હતા, છતાં તેઓ ચર્ચામાં છે.
ભાજપમાંથી સન્માનજનક વિદાયની ઈચ્છા !
સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ BJPમાંથી કોઈ વિવાદ વગર સન્માનજનક વિદાય ઈચ્છે છે. તેઓ તમિલનાડુમાં 'રાષ્ટ્રવાદી તમિલ દર્શન' પર આધારિત બિન-રાજકીય આંદોલન શરૂ કરીને તે જ નામે રાજકીય પક્ષમાં બનાવી છે. 7 જૂનના રોજ તેઓ સમર્થકો સાથે બેઠક કરીને વ્યૂહરચના જાહેર કરી શકે છે. યુવાનોમાં પકડ ધરાવતા અન્નામલાઈ માટે આ નિર્ણય જોખમી છે, તો BJP માટે પણ આંચકો છે. RSS ઈચ્છે છે કે તેઓ સાર્વજનિક જીવનમાં સક્રિય રહે.
અન્નામલાઈ પાસે વિજયને પડકારની તક !
તમિલનાડુમાં થલપતિ વિજયની TVK પાર્ટીએ દ્રવિડ રાજનીતિને નુકસાન પહોંચાડીને DMK અને AIADMK બંનેને ચિંતામાં મૂકી દીધા છે. અન્નામલાઈને લાગે છે કે, વિજયને પડકારવાનો આ યોગ્ય સમય છે કારણ કે રાજ્યમાં હાલ કોઈ મજબૂત ચહેરો નથી. જો કે, નવી પાર્ટી બનાવવી સ્ટાર્ટ-અપ જેવું જોખમી છે. વિજય અને પ્રશાંત કિશોર (જન સુરાજ) ક્યારેય કોઈ પક્ષ સાથે જોડાયેલા ન હતા, જ્યારે અન્નામલાઈ પર BJPનો સિક્કો વાગી ચૂક્યો છે, જેનાથી અલગ ઓળખ બનાવવી મુશ્કેલ છે. ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ પણ અલગ પાર્ટી બનાવીને પદયાત્રાઓ કરી હતી, પરંતુ લોકોમાં BJP નેતાની છબી રહેતા તેઓ અલગ ઓળખ સમજાવી ન શક્યા અને અંતે તેમણે પક્ષનો BJPમાં વિલય કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની 'ગોલ્ડ રિસાયક્લિંગ' અપીલ પાછળનું કારણ
ભાજપના AIADMK સાથે ગઠબંધનથી અન્નામલાઈ નારાજ
એક સમયે અન્નામલાઈ તમિલનાડુમાં BJPનું ભવિષ્ય હતા. તેઓ તમિલનાડુમાં AIADMK સાથેના ગઠબંધનની વિરુદ્ધ હતા અને AIADMK નેતા એડપ્પાદી કે. પલાનીસ્વામીને તેઓ પસંદ ન હતા. આ કારણે 2026ની ચૂંટણી પહેલાં અન્નામલાઈના સ્થાને નૈનાર નાગેન્દ્રનને અધ્યક્ષ બનાવાયા હતા. ચૂંટણી ન લડવા છતાં અન્નામલાઈ NDAના લોકપ્રિય પ્રચારક રહ્યા, કારણ કે પલાનીસ્વામી પછી તેમની રેલીઓમાં જ ભીડ ઉમટતી હતી. બંને નેતાઓ એક જ ગૌંડર (OBC) સમુદાયમાંથી આવે છે. સમર્થકોનું માનવું છે કે અન્નામલાઈની વ્યક્તિગત તાકાત BJPની જમીની તાકાત કરતાં વધુ છે. આ સિવાય, અન્નામલાઈ દ્વારા CBSEના ત્રિભાષા ફોર્મ્યુલાને વર્તમાન સત્રના બદલે 2029-30થી લાગુ કરવાની કરાયેલી માંગ હાઈકમાન્ડ સાથે ટકરાવનું કારણ બની શકે છે.
અન્નામલાઈના કારણે ભાજપનો વોટ શેર વધ્યો
અન્નામલાઈની આક્રમક 'એન મન્ન મક્કલ' પદયાત્રાને કારણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં BJPનો વોટ શેર 3 ટકાથી વધીને 2024માં 11 ટકા થયો હતો, જે 2026માં ફરી ઘટીને 3 ટકા પર આવી ગયો છે, જે BJP માટે નુકસાનના સંકેત છે. તમિલનાડુના એક સિનિયર BJP નેતાના મતે, દિલ્હીએ ચૂંટણીને બરાબર સમજી નહીં, જો અન્નામલાઈને વધુ સ્વાયત્તતા મળી હોત તો વિજય એકમાત્ર રાજકીય પરિવર્તનનો ચહેરો ન બનત. પર્યવેક્ષકો અન્નામલાઈની રાજનીતિને કટ્ટર હિંદુત્વના બદલે દ્રવિડ રાજનીતિની નજીક જુએ છે.
BJPમાં અન્નામલાઈને લઈને અસમંજસ
ભાજપમાં અન્નામલાઈને લઈને અસમંજસ છે. અન્નામલાઈએ રાષ્ટ્રીય નેતૃત્વને બે વિકલ્પો આપ્યા હોવાનું સામે આવ્યું છે: કાં તો તેમને ઓછામાં ઓછા 7 વર્ષ માટે સંપૂર્ણ સ્વાયત્તતા અને અધિકાર સાથે તમિલનાડુ BJPનું નેતૃત્વ સોંપવામાં આવે, અથવા તેમને અલગ રાજકીય રસ્તો અપનાવવાની મંજૂરી આપવામાં આવે.


