Get The App

ફડણવીસ સરકારથી રાજીનામું આપશે અજિત પવાર? પુણેમાં ભાજપે જ મ્હાત આપતા ઉઠ્યા સવાલ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
Ajit Pawar Resignation Rumors


(IMAGE - IANS)

Ajit Pawar Resignation Rumors: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ પવાર પરિવારના ગઢ ગણાતા પુણેમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. પુણે(PMC) અને પિંપરી-ચિંચવડ(PCMC)માં ભાજપે માત્ર પોતાનો દબદબો જાળવી રાખ્યો નથી, પરંતુ તેને વધુ મજબૂત બનાવ્યો છે. અજિત પવાર અને શરદ પવારની એકતાનો દાવ ભાજપના વિજય રથને રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે. ભાજપે બંને મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત પોતાના દમ પર પૂર્ણ બહુમતી મેળવીને ઈતિહાસ રચ્યો છે.

પુણે અને પિંપરી-ચિંચવડમાં ભાજપની આંધી

પુણે(PMC)ની 165 બેઠકોમાંથી ભાજપે 110 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે શરદ પવાર અને એનસીપી ગઠબંધનને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. તેવી જ રીતે, પિંપરી-ચિંચવડ(PCMC)માં 128 બેઠકોમાંથી ભાજપને 81 અને અજિત પવાર જૂથને માત્ર 36 બેઠકો મળી છે. અગાઉ ભાજપ ગઠબંધન સાથે સત્તામાં હતું, પરંતુ આ વખતે જનતાએ ભાજપને એકલા હાથે સત્તા સોંપી છે.

પવાર પરિવાર પર અસ્તિત્વનું સંકટ?

શરદ પવાર અને અજીત પવાર ફરી સાથે આવ્યા હોવા છતાં મળેલી આ કારમી હાર બંને જૂથો માટે ચિંતાનો વિષય છે. મહાયુતિ સરકારમાં હોવા છતાં ભાજપ સામે ચૂંટણી લડવી અને ભ્રષ્ટાચારના આરોપો લગાવવા પવાર પરિવારને ભારે પડ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે તો ત્યાં સુધી કહ્યું કે પાર્ટીને અજીત પવારને સાથે લેવા પર પસ્તાવો છે. શરદ પવારની પાર્ટી 24 નગરપાલિકાઓમાં ખાતું પણ ખોલાવી શકી નથી, જે પક્ષના સંગઠનમાં ગાબડા પડ્યા હોવાનો સંકેત આપે છે.

આ પણ વાંચો: મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ?

ભાજપની આ ઐતિહાસિક જીતના 4 મુખ્ય કારણો

પરિવારવાદ પર પ્રહાર: ભાજપે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદના સંબંધીને ટિકિટ ન આપવાની નીતિ અપનાવી, જેનો લાભ પાયાના કાર્યકર્તાઓને મળ્યો.

નવા ચહેરાઓને તક: પુણેમાં 97માંથી 30 વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કાપીને નવા અને યુવા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા.

વિપક્ષી નેતાઓનું પક્ષાંતર: ચૂંટણી પહેલા ભાજપે બાપુ પઠારે(NCP-SP) અને અભિજિત શિવરકર(કોંગ્રેસ) જેવા સ્થાનિક દિગ્ગજ નેતાઓને પોતાની તરફ કરી લીધા.

વિકાસના કામો: મેટ્રો વિસ્તરણ, રિંગ રોડ અને કોસ્ટલ રોડ જેવા પ્રોજેક્ટ્સને કારણે શહેરી મતદારોએ વિકાસના નામે ભાજપ પર કળશ ઢોળ્યો.

ફડણવીસ સરકારથી રાજીનામું આપશે અજિત પવાર? પુણેમાં ભાજપે જ મ્હાત આપતા ઉઠ્યા સવાલ 2 - image