'મમતા બેનર્જા અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો...', દિગ્ગજ નેતાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Why Nitish Kumar Left INDIA Alliance: વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પર આવતા રોકવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી પક્ષોને એકઠા કરીને 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનની રચના કરી હતી. પરંતુ ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા જ તેઓ પોતે જ આ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા. નીતિશ કુમારના આ આકસ્મિક યુ-ટર્ન પાછળનું અસલી કારણ અત્યાર સુધી એક રહસ્ય હતું, પરંતુ હવે જેડીયુ(JDU)ના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ સંજય કુમાર ઝાએ આ અંગે એક મોટો રાજકીય ખુલાસો કર્યો છે.
નીતિશ કુમારના યુ-ટર્નનો ઇતિહાસ
આ વિવાદની શરૂઆત 10 ઑગસ્ટ, 2022ના રોજ થઈ હતી, જ્યારે નીતિશ કુમારે અચાનક ભાજપ સાથેનો છેડો ફાડીને બિહારમાં આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને નવી સરકાર બનાવી હતી. આ સાથે જ તેમણે સંકેત આપ્યા હતા કે તેઓ 2024માં ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે વિપક્ષી એકતા મજબૂત કરશે. નીતિશ કુમારના પ્રયાસોથી જ 23 જૂન, 2023ના રોજ પટણામાં દેશના તમામ વિપક્ષી પક્ષોની પહેલી ઐતિહાસિક બેઠક મળી અને 'ઇન્ડિયા ગઠબંધન' અસ્તિત્વમાં આવ્યું. જોકે, 28 જાન્યુઆરી, 2024ના રોજ નીતિશ કુમારે ફરી યુ-ટર્ન લીધો અને 'ઇન્ડિયા' ગઠબંધન છોડીને ફરીથી એનડીએ(NDA)માં સામેલ થઈ ગયા.
મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે ગઠબંધન બગાડ્યું
સંજય ઝાએ એક ઇન્ટરવ્યૂમાં ઓન-રૅકોર્ડ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધનનો સત્યાનાશ કરી નાખ્યો. ગઠબંધનની બેઠકો દરમિયાન એવી આંતરિક સહમતિ સધાઈ ચૂકી હતી કે નીતિશ કુમારને આ ગઠબંધનના સંયોજક બનાવવામાં આવશે. પરંતુ એક પૂર્વ આયોજિત રણનીતિના ભાગરૂપે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે અચાનક મીટિંગમાં એવી દલીલ કરી કે ગઠબંધનના સંયોજક કોઈ દલિત ચહેરો હોવા જોઈએ અને તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનું નામ પ્રપોઝ કરી દીધું. આ અણધાર્યા પગલાથી કોંગ્રેસ પણ બેકફૂટ પર આવી ગઈ હતી.
પદ માટે નહીં, એકતા માટે પ્રયાસ કરતા હતા નીતિશ
જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ સ્પષ્ટ કર્યું કે નીતિશ કુમાર ક્યારેય ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બનવા માટે ઉત્સુક કે બેચેન નહોતા. તેમનો એકમાત્ર હેતુ તમામ વિપક્ષી પક્ષોને એક પ્લેટફોર્મ પર લાવવાનો હતો, પરંતુ તેમના આ આખા પ્લાનને આ બંને નેતાઓએ વ્યક્તિગત સ્વાર્થ ખાતર નિષ્ફળ બનાવી દીધો. ઇન્ડિયા ગઠબંધન પાસે દેશ માટે કોઈ ચોક્કસ વિઝન કે પ્લાન નહોતો અને પ્રાદેશિક પક્ષોને લાગતું હતું કે કોંગ્રેસ માત્ર અમુક રાજ્યો પૂરતી જ રાજનીતિ કરે છે.
આ પણ વાંચો: રિલાયન્સ ઈન્ફ્રાએ ટ્રેડિંગ પ્રતિબંધો હટાવવા સેબીના દરવાજા ખખડાવ્યા
વાજપેયી યુગ અને વર્તમાન એનડીએ મોડલ વચ્ચેનો તફાવત
જ્યારે સંજય ઝાને પૂછવામાં આવ્યું કે અટલ બિહારી વાજપેયીના સમયની સરખામણીએ હાલની નરેન્દ્ર મોદી સરકારમાં સહયોગી પક્ષોનું દબાણ કેમ દેખાતું નથી? ત્યારે તેમણે જણાવ્યું કે, વાજપેયી સરકારના સમયમાં 24 પક્ષો સામેલ હતા, જ્યારે આજે સંવાદનું માધ્યમ ઘણું મજબૂત છે. રાજ્યનો કોઈ મુદ્દો હોય તો તેનો ઉકેલ લાવવામાં આવે છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા-વિચારણા થાય છે. મહિલા અનામત બિલ વખતે પણ જેડીયુની સલાહ લેવાઈ હતી. નીતિશ કુમારને કોઈ મુદ્દે અસહજતા હોય તો તે સીધી વાત કરીને ઉકેલી લેવાય છે.
પરિવારવાદના કારણે પ્રાદેશિક પક્ષોનું પતન
પ્રાદેશિક પક્ષો તૂટવા પાછળનું કારણ જણાવતાં સંજય ઝાએ કહ્યું કે, જેપી આંદોલનમાંથી નીકળેલા સમાજવાદી નેતાઓ પહેલા વિચારધારા સાથે આવ્યા, પછી જ્ઞાતિના નેતા બન્યા અને અંતે માત્ર એક પરિવાર પૂરતા મર્યાદિત થઈ ગયા. જ્યારે પક્ષો અને તેની સંપત્તિઓ વ્યક્તિગત કે કૌટુંબિક બની જાય છે, ત્યારે તે તૂટવા લાગે છે. નીતિશ કુમારે તમામ સમાજવાદી પક્ષોને એક કરવા માટે ઘણું બલિદાન આપ્યું છે. છેલ્લા 15 વર્ષથી લોકો લખે છે કે જેડીયુ ખતમ થઈ જશે, પરંતુ નીતિશ કુમારના વારસા અને તેમણે સ્થાપેલી વ્યવસ્થાને ક્યારેય મિટાવી શકાશે નહીં.









