India

‘માફ કરવાનો હક કોણે આપ્યો?’, PM મોદીના નિવેદન મામલે રાહુલ ગાંધીના પ્રહાર

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 'વાઈકો ઈન પાર્લામેન્ટ' પુસ્તક વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ PM મોદી અને RSS પર આકરા પ્રહારો કર્યા. તેમણે PMના 'માફ કરવા'ના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, PMને ભારતના ભવિષ્યને માફ કરવાનો અધિકાર કોણે આપ્યો? વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે અને શિક્ષણ વ્યવસ્થા યોગ્ય નથી, ત્યારે આવા નિવેદનો અયોગ્ય છે. રાહુલ ગાંધીએ સંઘની વિચારસરણીને પણ ખતરનાક ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘માફ કરવાનો હક કોણે આપ્યો?’, PM મોદીના નિવેદન મામલે રાહુલ ગાંધીના પ્રહાર

Rahul Gandhi Slams PM Modi : દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે 'વાઈકો ઈન પાર્લામેન્ટ' નામના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS પર તીખા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાનના તાજેતરના નિવેદન સામે સવાલો ઉઠાવતા દેશમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, અને વડાપ્રધાન માફ કરી રહ્યા છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'વડાપ્રધાન કહે છે કે હું તેમને માફ કરું છું. મને નથી ખબર કે તેઓ તેમને માફ કરવાવાળા કોણ છે. દેશ અત્યારે એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ રસ્તા પર છે અને ખૂબ જ તકલીફમાં છે. તેઓ પરીક્ષાઓમાં નિષ્પક્ષતા અને એક એવી શિક્ષણ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે જે યોગ્ય રીતે કામ કરે, પરંતુ બીજી તરફ આપણા વડાપ્રધાન તેમને માફ કરી રહ્યા છે.’

‘ભારતના ભવિષ્યને માફ કરવાનો હક કોણે આપ્યો?’

પીએમ મોદીના નિવેદન સામે સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તેમને આ વિચાર ક્યાંથી આવ્યો કે તેમને ભારતના ભવિષ્યને માફ કરવાનો હક છે, મને નથી ખબર, પરંતુ તેઓ એ જ કરવા માંગે છે.' આ સાથે જ તેમણે સંઘ પર નિશાનો સાધતા કહ્યું કે, વડાપ્રધાનની સોચ, તેમના સાથીઓ અને ખાસ કરીને RSSની વિચારસરણી પાછળ એક ખૂબ જ ખતરનાક વિચાર રહેલો છે.

‘જે સવાલ પૂછે તે જ સાચો યુવાન’

રાહુલ ગાંધીએ 82 વર્ષના નેતા વાઈકોના વખાણ કરતા તેમની સાથેની જૂની દોસ્તી યાદ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ કોઈ પણ રાજકારણીને તેની વિચારધારાની સાતત્યતાથી પરખે છે અને વાઈકો પોતાની વિચારસરણી પર હંમેશા અડગ રહ્યા છે. વાઈકોની ઉંમર અંગે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાન વ્યક્તિ એ છે જે સવાલો પૂછે છે. વાઈકો 82 વર્ષના છે છતાં કેટલાક લોકોથી વિપરીત આજે પણ સવાલો પૂછી રહ્યા છે.

પીએમ મોદીએ Gen-Zને કરી હતી અપીલ

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વિડિયો જાહેર કરીને Gen-Zને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે બસ તમારી સાથે જ વાતો કરું. જંતર-મંતર પર જે કંઈ પણ થયું તે દેશ અને દુનિયાએ જોયું છે. કેટલાક મસ્તીખોર બાળકોએ ખરાબ ગાળો આપી, જે કોઈ પણ સભ્ય સમાજને શોભતી નથી. મને ગાળો આપવામાં આવી, મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી.' પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ આ બાળકોને માફ કરવા માંગે છે, જેના જવાબમાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે.