પહલગામ હુમલાના પાપીને સજા ક્યારે? હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Major Action Against Hafiz Saeed: જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે તપાસ કરી રહેલી NIA એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હાલમાં જ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. તેને ભારત અને અમેરિકા આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે મુંબઈમાં વર્ષ 2008માં થયેલા હુમલાનો પણ તેને માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે NIAએ લશ્કર-એ-તૈયબાના વડા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. 8 જુલાઈના રોજ NIA કોર્ટના વિશેષ ન્યાયાધીશે આદેશ જારી કર્યો હતો. જ્યારે 6 જુલાઈએ જ તપાસ એજન્સીએ હાફિઝ સઈદ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ અથવા ચાર્જશીટ દાખલ કરી હતી.
શું બોલી કોર્ટ?
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, 'નિષ્પક્ષ, સંપૂર્ણ અને પ્રભાવી તપાસ માટે આરોપીની ધરપકડ અને કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. તેથી તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવામાં આવે છે અને તેને કાયદા મુજબ તેના અમલીકરણ માટે તેને NIA, જમ્મુના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલને મોકલવામાં આવે છે.
હાફિઝ સઈદ વિશ્વના મોસ્ટ વોન્ટેડ વૈશ્વિક આતંકવાદીઓમાંથી એક
હાફિઝ સઈદ વિશ્વના મોસ્ટ વોન્ટેડ વૈશ્વિક આતંકવાદીઓમાંથી એક છે. તે મુખ્યત્વે 1980ના દાયકા દરમિયાન રચાયેલા લશ્કર-એ-તૈયબાના સહ-સ્થાપક અને વડા તરીકે જાણીતો છે. તેણે લશ્કર-એ-તૈયબાની સ્થાપના કરી, જે દક્ષિણ એશિયાના સૌથી મોટા અને સૌથી સક્રિય આતંકવાદી સંગઠનોમાંનું એક છે અને તે ખાસ કરીને ભારતને નિશાન બનાવવાની પ્રવૃત્તિઓ માટે કુખ્યાત રહ્યું છે.
તેની વૈશ્વિક આતંકવાદી ગતિવિધિઓને કારણે ભારત અને અમેરિકા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ પણ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.
આ પણ આરોપ
જમ્મુની સ્પેશિયલ NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં 76 વર્ષીય સઈદને તેની વ્યક્તિગત હેસિયત સાથે-સાથે પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેની સાથે સંકળાયેલ સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)ના વડા તરીકે આરોપી બનાવવામાં આવ્યો છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કોર્ટના આદેશ પ્રમાણે NIAએ કોર્ટને જણાવ્યું કે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાનો રહેવાસી, ફરાર આતંકવાદી હાફિઝ સઈદ પહલગામ આતંકી હુમલા કેસનો આરોપી છે. આ સાથે જ એ પણ કહ્યું કે તે જાણીજોઈને ધરપકડથી બચી રહ્યો છે. NIAએ કેસની વધુ તપાસ કરવા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની વિનંતી કરી.
યુદ્ધ છેડવાના લગાવ્યા હતા આરોપ
NIAએ 6 જુલાઈના રોજ કહ્યું હતું કે, 'ચાર્જશીટમાં આરોપીઓ વિરુદ્ધ ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા તથા સરહદ પારથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાના આરોપો સાથે સંબંધિત દંડની કલમો પણ લગાવવામાં આવી છે.' નિવેદન પ્રમાણે પૂરક ચાર્જશીટમાં પાકિસ્તાનના ષડયંત્ર, સઈદની ભૂમિકા અને NIAની ઝીણવટભરી વૈજ્ઞાનિક તપાસ અને જમીની તપાસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાની વિગતો આપવામાં આવી છે.









