Get The App

CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર?

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર? 1 - image

Vijay Tvk Government: તમિલનાડુમાં સત્તા સંભાળ્યાના 3 દિવસની અંદર જ મુખ્યમંત્રી વિજયને પોતાના એક વિવાદાસ્પદ નિર્ણયને પાછો ખેંચવા માટે મજબૂર થવું પડ્યું છે. ભારે હોબાળા બાદ TVK સરકારે બુધવારે વિજયના અંગત જ્યોતિષીની મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવેલી OSD તરીકેની નિમણૂકને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ જ્યોતિષી રાધન પંડિત વેટ્રિવેલને તમિલનાડુ CM ઓફિસમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અને રાજકીય વિંગના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે મોટો વિવાદ શરૂ થયો હતો અને આ નિર્ણય પર માત્ર વિપક્ષી દળોએ જ નહીં, પરંતુ ગઠબંધનના સાથી પક્ષોએ પણ સવાલો ઉઠાવ્યા હતા.

જ્યોતિષના ક્ષેત્રમાં 40થી વધુ વર્ષોનો અનુભવ

જણાવી દઈએ કે મુખ્યમંત્રીના નજીકના ગણાતા જ્યોતિષી રાધન પંડિતે વિધાનસભા ચૂંટણીમાં તમિલગા વેટ્રી કઝગમ (TVK)ની મોટી જીત અને વિજયના મુખ્યમંત્રી બનવાની આગાહી કરી હતી. ઉપરાંત તેઓ TVK ના પ્રવક્તાઓમાંથી પણ એક છે. રિપોર્ટ મુજબ, તેમને જ્યોતિષના ક્ષેત્રમાં 40થી વધુ વર્ષોનો અનુભવ છે. હવે CM ઓફિસમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી. નિર્ણયની જાહેરાત થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો હતો.

ગઠબંધન પક્ષ VCK-CPIMએ કર્યો હતો વિરોધ

ડાબેરી પક્ષો અને તિરુમાવલવનની આગેવાની હેઠળની વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) એ સરકારના આ પગલા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. VCKના જનરલ સેક્રેટરી ડી. રવિકુમારે એક નિવેદનમાં કહ્યું હતું કે જ્યોતિષીને સરકારી પદ આપવું તે બિલકુલ ખોટું છે. તેમણે કહ્યું હતું કે, 'કોઈ જ્યોતિષીને મુખ્યમંત્રીના OSD બનાવીને ટેક્સ ભરનારાના નાણાં ખર્ચવા એ બંધારણનું ઉલ્લંઘન છે. મુખ્યમંત્રીની અંગત પસંદગીથી શાસનનો માર્ગ નક્કી ન થવો જોઈએ. તેમણે આ નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ, બિનસાંપ્રદાયિક સરકારમાં જ્યોતિષીનું હોવું ખોટું છે.'

આ પણ વાંચો: 'મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય...',CM બનતાં જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય

તેવી જ રીતે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના રાજ્ય સચિવ પી. શણમુગમે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઈ જ્યોતિષી રાજકીય સલાહ આપે તે સ્વીકાર્ય નથી અને તે વૈજ્ઞાનિક વિચારસરણીની વિરુદ્ધ છે. 'આ નિમણૂક લોકોની વિચારસરણીને પાછળ લઈ જઈ શકે છે અને તે લોકોને જ્યોતિષ તરફ જવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, જેને મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીએ ખોટું સાબિત કર્યું છે.' તેમણે માંગ કરી હતી કે આ બાબતે વિલંબ કર્યા વગર ફરીથી વિચાર કરવામાં આવે. આ ઉપરાંત કોંગ્રેસે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

કોણ છે રાધન પંડિત?

રાધન પંડિત છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય જ્યોતિષમાં એક જાણીતી વ્યક્તિ રહ્યા છે. તમિલનાડુના ઈરોડ જિલ્લામાં જન્મેલા વેટ્રિવેલે 40 વર્ષ પહેલા જ્યોતિષને પોતાનો વ્યવસાય બનાવ્યો હતો અને મુંબઈ તેમજ દિલ્હીમાં પ્રેક્ટિસ કરી હતી. તેમના ઘણા હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટ(ગ્રાહક) રહ્યા છે, જેમાં દિવંગત મુખ્યમંત્રી જે. જયલલિતા પણ સામેલ હતા. 1991માં તેમની જીતની આગાહી કરીને તેઓ તેમની નજીક આવ્યા હતા, પરંતુ જ્યારે તેમની એક આગાહી ખોટી પડી ત્યારે સંબંધોમાં તણાવ આવી ગયો હતો. રિપોર્ટ મુજબ, તેમણે જયલલિતાને કહ્યું હતું કે તેઓ આવક કરતા વધુ સંપત્તિના કેસમાં જેલમાં નહીં જાય, પરંતુ તેમને જેલ થઈ હતી. ત્યારથી જયલલિતાએ તેમની સલાહ લેવાનું બંધ કરી દીધું હતું. આટલા વર્ષો પછી હવે તેઓ વિજયના નજીકના સાથી બન્યા છે.