VIDEO : પટનામાં ભારે બબાલ, લાઠીચાર્જ બાદ વિદ્યાર્થીઓએ કર્યો પથ્થરમારો; અનેક પોલીસકર્મી ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Patna Student Protest : બિહારની રાજધાની પટનામાં મંગળવારે વિવિધ વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. પોતાની વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓએ લોકભવન માર્ચની જાહેરાત કરી હતી. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે શહેરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યા હતા અને અનેક મુખ્ય સ્થળોએ બેરિકેડિંગ કર્યું હતું. ડાકબંગલા ચોક પર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સીધો ટકરાવ થયો હતો. વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કરીને તેમને પાછળ ખસેડ્યા હતા.

ડાકબંગલા ચોક પર લોખંડની ચાદરોવાળા બેરિકેડ ગોઠવાયા
વિદ્યાર્થીઓના આંદોલનને અટકાવવા માટે ડાકબંગલા ચોક પર ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ વખતે પ્રદર્શનકારીઓને રોકવા માટે પહેલીવાર લોખંડની ભારે ચાદરો લગાવીને મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. આમ છતાં વિદ્યાર્થીઓ આગળ વધવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. બેરિકેડ તૂટતાં પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો.
વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ
વિદ્યાર્થી સંગઠનો પોતાની વિવિધ માંગણીઓને લઈને સતત આંદોલન કરી રહ્યા છે. જેમાં TRE-4 પરીક્ષાને લગતી બાબતો મુખ્ય છે. વિદ્યાર્થીઓની માંગ છે કે TRE-4માં નેગેટિવ માર્કિંગ દૂર કરવામાં આવે અને આખી પરીક્ષા એક જ તબક્કામાં લેવામાં આવે. આ ઉપરાંત ઉમેદવારો માટે એક ઉમેદવાર-એક પરિણામનો નિયમ લાગુ કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે.

સરકાર સાથેની બેઠક અનિર્ણિત રહી
વિદ્યાર્થીઓનું આંદોલન સમેટવા માટે રાજ્ય સરકારે સોમવારે વાતચીતની પહેલ કરી હતી. સરકારના નિર્દેશ બાદ શિક્ષણ સચિવ, પટનાના જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકોમાં 2થી 3 કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જોકે, TRE-4માં નેગેટિવ માર્કિંગ હટાવવા અને એક જ તબક્કામાં પરીક્ષા લેવા અંગે કોઈ સહમતિ સધાઈ શકી ન હતી. તેથી વિદ્યાર્થી સંગઠનોએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મંગળવારે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો.
સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ
હાલમાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પટનાના સંવેદનશીલ સ્થળો પર પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠનો પોતાની માંગણીઓ પર અડગ છે, જ્યારે વહીવટી તંત્ર શાંતિ જાળવવા પ્રયાસ કરી રહ્યું છે. આ આંદોલન હવે કઈ દિશામાં આગળ વધશે તેનો આધાર સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે યોજાનારી આગામી વાતચીત પર રહેશે.




