UP Weather Tragedy: ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ, ફૂંકાયેલા તોફાની પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 24 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, 16 પશુઓના પણ મોત નીપજ્યા હોવાના અહેવાલ છે.
જનજીવન અસ્તવ્યસ્ત, ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત
રાજ્યના અનેક જિલ્લાઓમાં તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને કાચા મકાનોમાં રહેતા પરિવારો આ આફતનો સૌથી વધુ ભોગ બન્યા છે. અનેક વિસ્તારોમાં જળભરાવની સમસ્યાને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
VIDEO | Uttar Pradesh: Ghaziabad witnesses a hailstorm, accompanied by high-speed winds and rain.
— Press Trust of India (@PTI_News) April 30, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/SDswKOd3GG
મુખ્યમંત્રીના કડક આદેશ: 24 કલાકમાં વળતર આપો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે મૃતકોના પરિજનોને 24 કલાકની અંદર વળતરની ચુકવણી કરવામાં આવે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે. રાહત અને બચાવ કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
હજુ પણ ખતરો યથાવત: એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદ, તેજ આંધી અને વીજળી પડવાની શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પ્રદેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ખરાબ હવામાન દરમિયાન ખુલ્લા મેદાનો, ખેતરો કે વૃક્ષો નીચે ન જવા અપીલ કરવામાં આવી છે.


