યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Sultanpur News: ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલ્ટ્રી ફોર્મના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દરિયાપુર ગામમાં પોલ્ટ્રી ફાર્મ ધરાવતા માલિકનો આરોપ છે કે, ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ખૂબ જ ઊંચા અવાજમાં ડીજે વાગતું હોવાને કારણે તેમની 140 મરઘાના મોત થયા છે. આ ઘટનાની પોલીસે તપાસ શરુ કરી છે.
અવાજ ઓછો કરવા મામલે જાનૈયાઓ સાથે થયેલો ઝઘડો
બલ્દીરામ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે બબ્બન વિશ્વકર્માની દીકરીના લગ્ન હતા. જાન આવી ત્યારે તીવ્ર અવાજે ડીજે વાગતું હતું. લગ્નસ્થળની નજીક જ શાબિરનું પોલ્ટ્રી ફાર્મ હતું. અવાજની તીવ્રતા અસહ્ય હોવાથી શાબિરે અવાજ ધીમો કરવાની વિનંતી કરી, પરંતુ જાનૈયાઓએ અને ડીજેવાળાએ ઝઘડો કર્યો.
અસહ્ય અવાજથી ભયભીત મરઘીઓનાં ફફડીને મોત
ફરિયાદીએ દાવો કર્યો કે અસહ્ય તીવ્ર અવાજથી મરઘીઓ ભય પામી ગઈ હતી અને અવાજ સહન ન થતાં ફફડીને મરી ગઈ. તેના પોલ્ટ્રી ફાર્મમાં એક-બે કે પાંચ-પચ્ચીસ નહીં, પરંતુ 140 મરઘીનાં મોત થઈ ગયા હતા. શાબિરના દાવા પછી પોલીસે ડીજે સંચાલક કવિ યાદવ સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ વળતરની માગણી કરી છે.
તીવ્ર અવાજની પશુ-પક્ષીઓ પર ગંભીર અસર
નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ખૂબ જ તીવ્ર અવાજથી પક્ષીઓ અને પ્રાણીઓ પર ગંભીર અસર થાય છે. પશુ-પક્ષીઓ ખૂબ ઊંચા અવાજથી ગભરાટમાં આવે છે અને તેમને હૃદયાઘાત લાગે છે. પોલીસે મરઘીના સેમ્પલ લઈને આગળની તપાસ શરૂ કરી છે.








