Get The App

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન 1 - image

Maharashtra Political Controversy : શિવસેનાની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉદ્ધવ ઠાકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાવુક અંદાજમાં કાર્યકર્તાઓને કહ્યું કે, 'જો પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને લાગે કે હું શિવસેના પ્રમુખ પદ માટે યોગ્ય નથી, તો હું આજે જ પદ છોડવા તૈયાર છું. હું કોઈપણ લાયક વ્યક્તિને શિવસેનાના અધ્યક્ષ બનાવવા તૈયાર છું. હું પડકારોથી પીછેહઠ કરવાનો નથી, પરંતુ જે દિવસે શિવસેનિકોને લાગશે તે દિવસે હું હટી જઈશ.’

ગદ્દારોએ પૈસા લઈને પક્ષપલટો કર્યો : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ 'ઓપરેશન તોડવા' અને બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધતા કહ્યું કે, 'ગદ્દારો પૈસા લઈને બીજી તરફ ચાલ્યા ગયા.' તેમણે યાદ અપાવ્યું કે, શિવસેના સ્થાપક બાલાસાહેબ ઠાકરે પહેલા જ કહી ચૂક્યા હતા કે, જે લોકો પાર્ટી સાથે વિશ્વાસઘાત કરે, તેમને રાજકીય જવાબ આપવો જોઈએ. ઉદ્ધવના મતે, આ પડકારો છતાં શિવસેનિકોનો આત્મવિશ્વાસ તૂટવાનો નથી અને તેઓ પહાડની જેમ મજબૂતીથી લડતા રહેશે.

કોંગ્રેસમાં વિલયની અટકળો અંગે પણ ઉદ્ધવએ આપ્યો જવાબ

કોંગ્રેસ સાથેના ગઠબંધન પર ઉઠતા સવાલોનો જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે, ‘જો શિવસેના 30 વર્ષ સુધી ભાજપ સાથે રહીને પણ તેમાં વિલય ન થઈ, તો કોંગ્રેસમાં વિલય થવાનો સવાલ જ નથી. જો અગાઉ શિવસેનાનો સાથ ન મળ્યો હોત તો ભાજપ ઘણા સમય પહેલા જ ખતમ થઈ ગઈ હોત. અગાઉ મતભેદો હોવા છતાં કોંગ્રેસે ક્યારેય માતોશ્રીનું અપમાન કર્યું નથી અને પોતાના વચનો નિભાવ્યા છે.’

આ પણ વાંચો : આ પણ વાંચો : NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

માત્ર નામ પાછળ ઠાકરે લગાવવાથી વારસદાર ન બનાય : શિંદે

બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘માત્ર નામની આગળ ઠાકરે લગાવી લેવાથી કોઈ અસલી વારસદાર બની જતું નથી.’ શિંદેએ ફિલ્મ શોલેના અસરાનીના પ્રખ્યાત ડાયલોગ 'આધે ઈધર જાઓ, આધે ઉધર જાઓ, બાકી મેરે પીછે આઓ'નો ઉલ્લેખ કરતા ટોણો માર્યો કે, ‘ઉદ્ધવ પાછળ હવે કોઈ બચ્યું નથી, માત્ર કેટલાક સલાહકારો જ રહ્યા છે. અહંકારના કારણે રાવણની લંકા પણ બળીને રાખ થઈ ગઈ હતી.’

‘ઓપરેશન કરવા માટે સિંહનું કાળજું જોઈએ’

ઉદ્ધવના ઓપરેશન વાળા નિવેદન પર પલટવાર કરતા શિંદેએ કહ્યું કે, 'અમારા અહીં ડૉ. શ્રીકાંત શિંદે છે. હું પોતે ડૉક્ટર નથી પણ જરૂર પડ્યે રાજકીય ઓપરેશન કરતા મને બરાબર આવડે છે. ઓપરેશન કરવા માટે સિંહનું દિલ જોઈએ, વરુનું નહીં. વાઘની ચામડી ઓઢી લેવાથી કોઈ વરુ વાઘ બની જતું નથી.’

શું મુંબઈ કોઈના બાપની જાગીર છે?

શિંદેએ એમ પણ કહ્યું કે, ‘4 વર્ષ પહેલા મને ધમકી અપાઈ હતી કે મુંબઈ આવીને બતાવો, પાછા નહીં જઈ શકો. શું મુંબઈ કોઈના બાપની જાગીર છે? તે વખતે હું હેલિકોપ્ટર છોડીને રોડ માર્ગે વરલી સુધી પહોંચ્યો હતો, જ્યારે ધમકી આપનારાઓ ઘરમાં બેસીને ઓનલાઈન સ્ક્રીન પર જોતા હતા. સેનાનો સેનાપતિ મેદાનમાં લડે છે, પાછળ બેસીને નહીં.’

આ પણ વાંચો : ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો