એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતાં બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

2 Indian Climbers Summit Mount Everest Die In Death Zone : માઉન્ટ એવરેસ્ટના શિખર પર સફળતાપૂર્વક પગ મૂક્યા બાદ, નીચે ઉતરતી વખતે ભારતના બે પર્વતારોહકોના કરુણ મોત થયા છે. નેપાળના તંત્રએ શુક્રવારે આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃતક પર્વતારોહકોની ઓળખ અરુણ કુમાર તિવારી અને સંદીપ આરે તરીકે થઈ છે. બંનેએ દુનિયાના સૌથી ઊંચા શિખર પર તિરંગો તો લહેરાવ્યો, પરંતુ કમનસીબે 'ડેથ ઝોન' ગણાતા એરિયામાં અતિશય થાક અને ઓક્સિજનની કમીના કારણે તેઓ સુરક્ષિત નીચે ઉતરી શક્યા નહીં.
શેરપાઓએ જીવ બચાવવા ઘણો પ્રયાસ કર્યો હતો
એક્સપિડિશન ઓપરેટર્સ ઍસોસિએશન ઑફ નેપાળના જનરલ સેક્રેટરી ઋષિ ભંડારીના જણાવ્યા અનુસાર, સંદીપ આરેએ બુધવારે એવરેસ્ટ સર કર્યું હતું, જ્યારે અરુણ કુમાર તિવારી ગુરુવારે સાંજે આશરે 5.30 વાગ્યે એવરેસ્ટની ટોચે પહોંચ્યા હતા. શિખર સર કર્યા બાદ બંને જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમણે જીવ ગુમાવ્યો. ગુરુવારે રિટર્ન જર્ની દરમિયાન સંદીપ આરે અત્યંત અશક્ત થઈ ગયા હતા. અનુભવી શેરપા ગાઇડ્સે રાતોરાત ઓપરેશન ચલાવીને તેમને એવરેસ્ટના પ્રખ્યાત 'બાલકની એરિયા'થી નીચે 'સાઉથ કોલ' સુધી લાવીને જીવ બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે દમ તોડી દીધો હતો.
બીજી તરફ, અરુણ તિવારી પણ બે અનુભવી શેરપાઓ સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે 'હિલેરી સ્ટેપ' નજીક ભારે થાકનો ભોગ બન્યા હતા. ગાઇડ્સના વારંવારના રેસ્ક્યૂ ઓપરેશન છતાં તેમને સુરક્ષિત બેઝ કેમ્પ તરફ લાવી શકાયા નહોતા અને રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
શું હોય છે એવરેસ્ટનો 'ડેથ ઝોન'?
પર્વતારોહણની દુનિયામાં એવરેસ્ટ પર 8 હજાર મીટરથી ઉપરના વિસ્તારને 'ડેથ ઝોન' કહેવામાં આવે છે. આ જગ્યાએ હવામાં ઓક્સિજનનું પ્રમાણ એટલું ઓછું હોય છે કે જો વધારાનો ઓક્સિજન સિલિન્ડર ન હોય, તો માણસની કોષિકાઓ પળેપળ મરવા લાગે છે અને મગજ કામ કરતું બંધ થઈ જાય છે.
રૅકોર્ડ કમાણી અને ભીડના કારણે 'ડેથ ઝોન' બન્યું વધુ ઘાતક?
આ વર્ષે નેપાળ સરકારે ટુરિઝમ કમાણીના તમામ રૅકોર્ડ તોડતા 493થી વધુ પર્વતારોહકોને એવરેસ્ટ ચઢવાની પરમિટ આપી છે. સીઝનની શરૂઆત મોડી થવાના કારણે બુધવારે એક જ દિવસમાં 274 લોકો એવરેસ્ટ તરફ દોડ્યા હતા જેમાંથી 223 લોકોએ એવરેસ્ટ સર કર્યું હતું જેમાં 3 ભારતીયો પણ સામેલ છે. નિષ્ણાતોના મતે, જ્યારે 'ડેથ ઝોન' જેવા જોખમી વિસ્તારમાં સેંકડો લોકો લાઇનમાં ઊભા રહે છે, ત્યારે ત્યાં 'ટ્રાફિક જામ' થાય છે. આ કઠોર ઠંડીમાં કલાકો સુધી એક જ જગ્યાએ ઊભા રહેવાથી પર્વતારોહકોનો કૃત્રિમ ઓક્સિજન ખતમ થઈ જાય છે અને શરીર સાથ છોડી દે છે. ભારતના આ બંને પર્વતારોહકો પણ કદાચ આ જ ટ્રાફિક જામ અને અતિશય પ્રતિકૂળ સંજોગોનો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.









