'તો હું આત્મહત્યા કરી લઇશ...' પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને કેમ આવુ બોલ્યા હતા મનમોહન સિંહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SY Quraishi book: ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એસ.વાય. કુરેશીએ પોતાના પુસ્તક 'ઇન્ડિયા એન્ડ આઇ: એ હન્ડ્રેડ મેમોરીઝ, નોટ એ મેમોયર' (India and I: A Hundred Memories, Not a Memoir)માં એક અત્યંત ભાવુક પ્રકરણનો ઉલ્લેખ કર્યો છે. ટૂંક સમયમાં પ્રકાશિત થનારા આ પુસ્તકમાં તેમણે પોતાની લાંબી વહીવટી સેવા દરમિયાનના 100 મહત્ત્વના અનુભવો શેર કર્યા છે. જેમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સાથે જોડાયેલી એક એવી ઘટનાનો પણ સમાવેશ થાય છે, જે ભારતીય રાજનીતિમાં પૂર્વ પીએમની સાદગી અને બંધારણીય સંસ્થાઓ પ્રત્યેના આદરની મોટી મિસાઇલ પૂરી પાડે છે.
2012ની એ ઘટના અને ચૂંટણી પંચની નારાજગી
આ સમગ્ર મામલો વર્ષ 2012માં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી સમયનો છે. તે સમયે તત્કાલીન કાયદા મંત્રી સલમાન ખુર્શીદે એક ચૂંટણી રેલીમાં મુસ્લિમો માટે સરકારી નોકરીઓમાં અનામત 4.5%થી વધારીને 9% કરવાનું વચન આપ્યું હતું. ભાજપે આ નિવેદનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આ મુદ્દે ચાર દિવસ સુધી સુનાવણી કરી, જેમાં કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી અને ભાજપ તરફથી અરુણ જેટલીએ પક્ષ રાખ્યો હતો. અંતે, પંચે સલમાન ખુર્શીદની આકરી નિંદા કરી હતી, જે આચાર સંહિતા ભંગ બદલ સૌથી કડક પગલું ગણાય છે. જોકે, આ કાર્યવાહી બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ચૂંટણી પંચને 'અહંકારી' અને 'મનસ્વી' કહીને ટીકાઓ શરૂ કરી દીધી હતી.
પીએમ હાઉસ પર વડાપ્રધાને જાતે કર્યું સ્વાગત
એસ.વાય. કુરેશીએ પુસ્તકમાં લખ્યું છે કે, 'ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાની સાખ બગડતી જોઈને હું ખૂબ નારાજ હતો. આ નારાજગી મેં ઈદના એક કાર્યક્રમમાં વડાપ્રધાનના પ્રેસ સચિવ હરીશ ખરે સામે વ્યક્ત કરી. હરીશ ખરેના માધ્યમથી આ વાત પીએમ સુધી પહોંચી અને બીજા જ દિવસે મને પીએમઓ તરફથી મુલાકાતનું આમંત્રણ મળ્યું. હું જ્યારે વડાપ્રધાન આવાસ પર પહોંચ્યો, ત્યારે ડૉ. મનમોહન સિંહ ખુદ દરવાજા પર ઊભા રહીને મારી રાહ જોઈ રહ્યા હતા.'
'જો તમે આવું વિચારશો, તો હું આત્મહત્યા કરી લઈશ'
મુલાકાતની શરૂઆતમાં જ ડૉ. મનમોહન સિંહ ખૂબ ભાવુક થઈ ગયા અને તેમણે મને કહ્યું, 'હરીશે મને જણાવ્યું કે તમે શું કહ્યું છે. જો તમને એવું લાગતું હોય (કે સરકાર ચૂંટણી પંચને નબળું પાડી રહી છે), તો હું આત્મહત્યા કરી લઈશ.' વડાપ્રધાનના આ શબ્દો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો. મેં તાત્કાલિક સ્પષ્ટતા કરી કે મારી ફરિયાદ વડાપ્રધાન સામે નથી, પરંતુ કેટલાક મંત્રીઓના નિવેદનો સામે છે. આ સાંભળી મનમોહન સિંહે ખાતરી આપી કે જો તેમને આ વાતની પહેલા ખબર હોત, તો તેમણે સંબંધિત મંત્રીઓને આકરી ફટકાર લગાવી હોત. તેમણે ભવિષ્યમાં આવી કોઈ પણ સમસ્યા હોય તો સીધો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.'
ચૂંટણી પંચ એ લોકશાહીનો આત્મા છે
ડૉ. મનમોહન સિંહે આ બેઠક દરમિયાન બંધારણીય સંસ્થાઓનું મહત્ત્વ સમજાવતા એક મોટી વાત કહી હતી. તેમણે કુરેશીને કહ્યું હતું, 'ચૂંટણી પંચ માત્ર ભારતનું ગૌરવ નથી, પરંતુ આપણા લોકશાહીનો આત્મા છે. જો આપણે તેને ખોઈ બેસીશું, તો આપણે બધું જ ગુમાવી દઈશું.'
એસ.વાય. કુરેશીએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે આ મુલાકાતે તેમના પર ઊંડી છાપ છોડી હતી. આ કોઈ સામાન્ય રાજનેતા સાથેની મુલાકાત નહોતી, પરંતુ એક એવા નેતા સાથેનો સંવાદ હતો જેના માટે બંધારણીય મર્યાદાઓ માત્ર ભાષણનો વિષય નહીં, પણ જીવનનો સિદ્ધાંત હતી. આ ઐતિહાસિક મુલાકાત બાદ ચૂંટણી પંચ વિરુદ્ધ નેતાઓની નિવેદનબાજી પણ કાયમ માટે શાંત થઈ ગઈ હતી.









